સંસ્કૃત શ્લોક (180)

જન્મઆ શાસ્ત્રોક્ત શ્લોકોએ યુગો વટાવ્યા છતાં પોતાનું સત્ય અને તેની લોક-હિતાર્થની તાકાત એક અણુ માત્ર પણ ગુમાવી નથી, અને આજની તિથીમાંય પ્રત્યેક મનુષ્યને લાગુ પડે એમ છે. શું એ પ્રમાણ પર્યાપ્ત નથી એની પૂર્ણતાનું? આવો તેને આત્મોન્નતિ સારુ અંગીકાર કરવાનો પુરુષાર્થ કરીએ.


દુર્બળતા ત્યજો

क्लैब्यं मा स्म गमः पार्थ नैतत्त्वय्युपपद्यते।

क्षुद्रं हृदयदौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ परन्तप।।

હે પાર્થ, કાયર ન થા. તે તમારા માટે અભદ્ર છે, અરે! પણ હૃદયની ક્ષુલ્લક નબળાઈ છોડીને ઊભો થા!

[श्रीमद भगवद्गीता – 2.3]


બ્રહ્મ અને જીવની એકતા 

घटे नष्टे यथा व्योम व्योमैव भवति स्वयम् |

तथैवाधिविलये ब्रह्मैव ब्रह्मवित् स्वयम् ||

જેમ ઘડાના નાશ થવાથી એની અંદરનું આકાશ મૂળ આકાશરૂપ  થઇ જાય છે, એમ જીવ આદિ ઉપાધિનો નાશ થવાથી બ્રહ્મવેત્તા પુરુષ સ્વયં બ્રહ્મરૂપ થઇ જાય છે.

[महावाक्यरत्नावली – 6.20]


પરમાત્માનો સ્વયં પ્રકાશ જ સર્વ પ્રકાશિત કરે છે.

न तत्र सूर्यो भाति न चन्द्रतारकं नेमा विध्युतो भान्ति कुतोSयमग्नि: | 

 तमेव भान्तमनुभाति सर्वं तस्य भासा  सर्वमिदं विभाति ||

ત્યાં સૂર્ય ચમકતા નથી કે ના ચંદ્ર કે તારાગણ પ્રકાશમાન છે. આ વીજળી પણ નથી ચમકતી તો તો ત્યાં અગ્નિ કેવી રીતે પ્રકાશ આપી શકે? એ (પરમાત્મા) ના  પ્રકાશથી જ સર્વ  પ્રકાશિત છે.

[श्वेताश्वतर उपनिषद- अध्याय 6.14]


આંત:શુદ્ધિ કેવી રીતે કરવી?

अद्भिर्गात्राणि शुध्धयन्ति मन: सत्येन शुध्धयति | 

विद्यातपोभ्यां भूतात्मा बुध्धिर्ज्ञानेन शुध्धयति ||

કાયા જળથી, મન સત્ય બોલીને, જીવાત્મા વિદ્યા તથા તપથી અને બુદ્ધિ જ્ઞાનથી શુદ્ધ થાય છે.

[मनुस्मृति – 5.112]


ગ્રહોને આધીન સંસાર 

ग्रहाधिनं जगत्सर्वं ग्रहाधिना: नरावरा: |  कालज्ञानं ग्रहाधिनं ग्रहा: कर्मफ़लप्रदा: ||

સંપૂર્ણ સંસાર ગ્રહોને જ આધીન છે. ગ્રહોને આધીન જ બધા શ્રેષ્ઠ મનુષ્યો હોય છે. કાળનું  જ્ઞાન તથા કર્મોના ફળ  આપનાર ગ્રહો જ હોય છે.

[बृहस्पतिसंहिता – 1.6]


રાજનીતિ

निर्विशेषो यदा राजा समं भृत्येषु तिष्ठति | 

तत्रोद्यमसमर्थानमुत्साह:  परिहीयते ||

રાજા જો સારાનરસા બધા સેવકો ઉપર એકસરખો ભાવ રાખે, તો જે ઉદ્યમી અને શક્તિમાન છે, તેમનો ઉત્સાહ નાશ પામે છે.

[सुभाषितरत्नभाण्डागार – तृतीय प्रकरण, राजनीति – 157]


વેદપાઠી પ્રસંશા 

नाध्यापयिष्यन्निगमाञ्श्रमेणोपाध्यायलोका यदि शिष्यवर्गान्  |

निर्वेदवादं किल निर्वितानमुर्वीतलं हन्त तदाभविष्यत्  ||

જો ઉપાધ્યાય-વેદપાઠીઓએ પ્રયત્ન કરીને પોતાના શિષ્યોને વેદ ભણાવ્યો ન હોત, તો આ પૃથ્વી પરનો પ્રદેશ વેદપાઠ વિનાનો બની જાત અને યજ્ઞરહિત થઇ જાત.

[सुभाषितरत्नभाण्डागार – द्वितीय प्रकरण, वेदपाठी प्रसंशा – 1]


વિદ્યાની પ્રસંશા 

सर्वद्रव्येषु विद्यैव द्रव्यमाहुरनुत्तमम् |

आहार्यत्वादानर्ध्यत्वादक्षयत्वाच्च सर्वदा ||

જગત પર વિદ્યમાન સર્વ પ્રકારના દ્રવ્યોમાં વિદ્યારૂપી દ્રવ્ય જ સર્વોત્તમ  છે; કારણકે તે કોઈથી હરિ શકાતું નથી, તેનું મૂલ્ય થઇ શકતું નથી અને તેનો કદી નાશ કે હાનિ થતાં નથી.

[सुभाषितरत्नभाण्डागार – द्वितीय प्रकरण, विद्या प्रसंशा – 3]


મોહ પમાડનાર જ્ઞાનના વિચારોથી બચો

अन्यैर्मतिमतां श्रेष्ठैर्गुप्तालोकनतत्परै: | आत्मानो बहव: प्रोक्ता नित्या: सर्वगतास्तथा ||

[शिवसंहिता 1.10]

અન્ય કોઈ બુધ્ધિમાનોમાં શ્રેષ્ઠ અને ગુપ્ત વિષયોને જોવામાં તત્પર રહેનાર દ્વારા “આત્માઓ અનેક છે, નિત્ય છે, સર્વ વ્યાપક છે” એવું કહેવાય છે.

यद्यत्प्रत्यक्षविषयं तदन्यन्नास्ति चक्षते | कुत: स्वर्गादय: सन्तित्यन्ये निश्चितमानसा: ||

[शिवसंहिता 1.11]

જે જે પ્રત્યક્ષ વિષયો છે, તેનાથી અન્ય કશું જ નથી તથા સ્વર્ગાદિ પણ ક્યાં છે? અર્થાત નથી. આવું પણ કોઈ કોઈ નિશ્ચિત મન વાળા બોલતા હોય છે.

एते चान्ये च मुनय: संज्ञाभेदा: पृथग्विधा: | शास्त्रेषु कथिता ह्येते लोकव्यामोहकारका: ||

[शिवसंहिता 1.15]

આમ વિવિધ પ્રકારના ઓળખ-ભેદ એ અનેક મુનિઓએ શાસ્ત્રોમાં કહયા છે. આ બધા જ મોહ-વિશેષમાં નાખવા વાળા છે.


વિદ્યા અને અવિદ્યા બંનેવથી સાવધાન

अन्धं तम: प्रविशन्ति येSविद्यामुपासते |  ततो भूय इव ते तमो य उ विद्याया गुं रता: ||

અવિદ્યા (માયા) એટલે કે પરમાત્માના ખરા સ્વરૂપને ન ઓળખતા આ જગતમાં જ વિશ્વાસ રાખનાર. વિદ્યા એટલે એની વિરુદ્ધનું જ્ઞાન (શાસ્ત્રો,  પુરાણો, વેદો). એ વ્યક્તિ જે બહુ વિદ્યામાં રત છે, તે અંધકાર માં તો છે જ, પરંતુ જે જ્ઞાનમાં રત છે તે તો એનાથીય વધુ અંધકારમાં છે. અર્થાત જ્ઞાન પણ અંધકાર તરફ લઇ જઈ શકે છે. આને માટે ભક્તિ આવશ્યક થઇ પડે છે. ભક્તિહીન જ્ઞાન ભયંકર છે. ભક્ત્યાત્મક જ્ઞાન ઉત્તમ જ્ઞાન છે.

[यजुर्वेद, 40.12, ईशावास्य उपनिषद]


પાપ મોચક 11 નામો (રાધા યશોદાજીને કહે છે).

राम नारायणानन्त मुकुन्द मधुसूदन | कृष्ण केशव कन्सारे हरे वैकुण्ठ वामन ||

इत्येकादश नामानि पठेद् वा पाठयेदिति | जन्मकोटिसहस्त्राणां पातकादेव मुच्यते ||

રામ, નારાયણ, અનંત, મુકુંદ, મધુસુદન, કૃષ્ણ, કેશવ, કંસારે, હરે, વૈકુંઠ, વામન આ અગ્યાર નામોનું જે પાઠ કે પઠન કરે છે તે સહસ્ત્ર કોટી (એક હજાર કરોડ) જન્મોના પાપોથી મુક્ત થઇ જાય છે.

[ब्रह्मवैवर्तपुराण – 111.19-20]


બ્રાહ્મણના મુખે ભણાતી આહુતિનું મહત્વ

नाहं तथाद्मि यजमानहविर्विताने श्च्योतद्घृतप्लुतमदन् हुतभुङ्मुखेन ।
यद्ब्राह्मणस्य मुखतश्चरतोनुघासंष्टस्य मय्यवहितैर्निजकर्मपाकै:।।

હું અગ્નિ દ્વારા યજ્ઞમાં ઘી થી લિપ્ત આહુતિઓના ભક્ષણથી એટલો પ્રસન્ન નથી થતો જેટલો બ્રાહ્મણો મુખમાં પડેલી આહુતિઓથી સંતુષ્ટ થાઉં છું.

[श्रिमद्भाग्वत् – 3.16.18]


ગૃહસ્થ પણ મુક્તિ પ્રાપ્ત કરી શકે 

न्यायगतधनस्तत्वज्ञाननिष्ठोSतिथिप्रिय: | 

श्राध्दकृत्सत्यवादि च गृहस्थोSपी हि मुञ्च्यते ||

ગૃહસ્થ પણ ન્યાયપૂર્વક ધનનું ઉપાર્જન કરી, અતિથિઓનો સત્કાર કરી, (નિત્ય-નૈમિત્તિક) શ્રાદ્ધ કર્મોનુ અનુષ્ઠાન કરતા કરતા, સત્યવાદી થઇ, નિરંતર આત્મતત્વના ધ્યાનમાં રહી મુક્તિ પ્રાપ્ત કરે  છે.

[याज्ञवल्क्यस्मृति – प्रायश्चितध्याय – यतिधर्म प्रकरणम् – 3.4.205]


સમસ્ત જગત  દેવતાઓથી વ્યાપ્ત છે. 

ऋषिभ्य: पितरो जाता: पितृभ्योदेव मानवा: |

देवेभ्यस्त जगत्सर्वम् चरस्थाण्वनुपूर्वश: ||

ઋષિઓ દ્વારા પિતૃઓ, પિતૃઓ દ્વારા દેવતાઓ અને દેવતાઓ દ્વારા મનુષ્યો જન્મ્યા. આમ દેવતાઓ દ્વારા જ સમસ્ત જડ-ચેતનનો જન્મ થયો

[मनुस्मृति – 3.202]


જીવન લક્ષ્ય ભુલાવનારી કામમય સૃષ્ટિ 

विश्वस्य वृद्धिं स्वयमेव काङ्क्षन्प्रवर्तकं कामिजनं संसर्ज | 

तेनैव लोक: परिमुह्यमान: प्रवर्धते चन्द्रमसेव चाब्धि: ||

મનોમય સૃષ્ટિથી સૃષ્ટિનો વિસ્તાર ન થતા, કામે (કામનાએ) મનુષ્યમાં થોડી કામ શક્તિ આપી જેથી વિસ્તાર થાય. પરંતુ મનુષ્યએ તેનો દુરુપયોગ કરી આખી સૃષ્ટિનો (સમુદ્રની જેમ) વિસ્તાર બનાવી પોતે (ચંદ્ર ની જેમ) આ કામમય સૃષ્ટિથી મોહિત થઇ પોતાનું જીવન લક્ષ્ય જ ભૂલી ગયો.

[सर्व वेदान्त सिद्धान्त सार संग्रह – 57]


સંગ ની અસર 

सन्तप्तायसि संस्थितस्य पयसौ नामापि न ज्ञायते मुक्ताकारतया तदेव नलिनीपत्रे  स्थितं राजते | 

स्वात्यां सागरशूक्तिमध्यपतितं सन्मौक्तिकं जायते प्रायेणाधममध्यमोक्तम गुण: संसर्गतो जायते ||

તપી રહેલ લોઢા ઉપર જળ બિંદુ ટકતું  નથી, જ્યારે કમળ પત્ર ઉપર મોતીનો આકાર ધારણ કરી લે છે.  તથા સ્વાતિ નક્ષત્રમાં સમુદ્રના છીપલામાં પડેલ એ  ટીપું મોતી બની જાય છે. નીચ, મધ્યમ અને ઉત્તમ સંગથી આવા ગુણો બને છે.

[शतबोध शतक – 16]


ધર્મસ્થાને સર્વજન સાધુઓ નથી હોતા

नगरे सद्रश: सर्वे भवन्ति धनिनो नहि | 

मठेSपि साधवो ज्ञानक्रियाभ्यां न हि साद्रशा: || 

જેમ નગરમાં સર્વ સમાન ધનવાન નથી હોતા, એમ મઠ (ધર્મસ્થાન) માં પણ જ્ઞાન અને ક્રિયા દ્વારા સમાન સર્વજન સાધુ નથી હોતા.

[द्रष्टान्त शतक – 60]


શરીરને પોતાનાથી પૃથક જાણવું 

माता पित्रोर्मलोद्भूतं मलमान्समयं वपु: |

त्यक्त्वा चण्डालददूरं ब्रह्मभूय कृति भव || 

માતા-પિતા ના મેલમાંથી બનેલ આ શરીર મળ અને માંસથી ભરેલ છે; અત: ચંડાળની જેમ એને  ત્યાગી, દૂર કરી બ્રહ્મરૂપ થા અને કૃતાર્થ બન.

[अध्यात्मोपनिषद – 6]


આદિત્યહૃદય સ્તોત્ર મહિમા (અગસ્ત્ય મુનિ શ્રી રામને કહે છે)

एनमापत्सु क्रुच्छ्रेषु कान्तारेषु भयेषु च | 

कीर्तयन् पुरुष: कश्चिन्नावसीदति राघव ||

વિપત્તિમાં, કષ્ટમાં, દુર્ગમ માર્ગમાં, તથા અન્ય કોઈ ભયમાં જે આ (આદિત્યહૃદય) સૂર્યદેવનું કીર્તન કરે છે, એને કોઈ દુઃખ ભોગવવું નથી પડતું.

[आदित्यह्रदयस्तोत्रम् – 25]


દિવ્ય આભૂષણો 

गुणो भूषयते रूपं शीलं भूषयते कुलम्  | 

सिध्धिर्भूषयते विद्यां भोगो भूषयते धनम्  ||

ગુણો થી રૂપ શોભા પામે છે, શીલ (ચરિત્ર) થી કુલ દીપે છે, સિદ્ધિ દ્વારા વિદ્યા સુશોભિત છે અને ભોગ એ ધનનું ભૂષણ છે.

[सुभाषितरत्नभाण्डागार, सामान्य नीति – 2.643]


ભક્તો ની પણ શુશ્રુષા કરવી

अर्चायामेव हरये पूजां य: श्रध्दयेहते  । 

न तद्भक्तेषु चान्येषु स भक्त: प्राकृत: स्मृत: ।। 

જે ભગવાનની મૂર્તિ પૂજા, સાકાર સ્વરૂપની અર્ચના તો શ્રદ્ધા થી કરે છે પરંતુ ભગવદ્ભક્તોની તથા અન્ય લોકોની વિશેષ સેવા નથી કરતો તે સાધારણ શ્રેણીનો ભક્ત – વૈષ્ણવ છે.

[श्रिमद्भाग्वत् – 11.2.47]


બ્રહ્મની ઉપાસના કર 

आकाशशरीरंब्रह्म | सत्यात्म प्राणारामं मन आनन्दम्  | शान्तिसमृद्धममृतम्  | इति प्राचीन योग्योपास्स्व  | 

તે બ્રહ્મ આકાશના જેવું નિરાકાર અને સર્વવ્યાપી છે, એક માત્ર સત્તારૂપ છે, સર્વ ઈન્દ્રીયોને વિશ્રામ આપનારું અને મનને આનંદ આપનારું છે. તે શાંતિથી સંપન્ન તથા અવિનાશી છે એમ માની હે પ્રાચીનયોગ્ય (શિષ્ય) ! તું તેની ઉપાસના કર.

[तैत्तिरीय उपनिषद् – 6.1-2]


આત્માની સંપત્તિઓ.

बाहुश्रुत्यं तपस्त्याग: श्रद्धा यज्ञक्रिया क्षमा  |

भावशुद्धिर्दया सत्यं संयमश्चात्मसम्पद: ||

(મહાભારતમાં શાંતિપર્વમાં વિદુરજી યુધિષ્ઠિરને કહેછે:) ઘણા શાસ્ત્રોનું અનુશીલન, તપસ્યા, ત્યાગ, યજ્ઞકર્મ, ક્ષમા, ભાવશુદ્ધિ, દયા, સત્ય, અને સંયમ આ સર્વ આત્માની સંપત્તિ છે.

[षडज् गीता – 5 ]


ભગવાન આત્મરુપે સર્વત્ર છે.

यथा नील: स्थावरजङ्गमानामात्मस्वरूपेण निविष्ट इशेत्  |

एवं परो भगवान् वासुदेव: क्षेत्रज्ञ आत्मेदमनुप्राविष्ट:  ||

જેમ વાયુ સંપૂર્ણ સ્થાવર-જંગમ પ્રાણીઓમાં પ્રાણરૂપે પ્રવિષ્ટ થઇ એમને પ્રેરિત કરે છે, એ જ પ્રકારે પરમેશ્વર ભગવાન વાસુદેવ સર્વસાક્ષી આત્મસ્વરૂપે આ સંપૂર્ણ પ્રપંચ (જગત)માં ઓતપ્રોત છે.

[परमहंस गीता – 2.14]


મન દેવતાને વશ કરો 

मनोवशेsन्ये ह्यभवन् स्म देवा मनश्च नान्यस्य वशं समेति  |

भीष्मो हि देव: सहस: सहियान् युञ्ज्याद् वशे तं स हि   देवदेव: ||

સર્વ ઇન્દ્રિયો મનને વશ છે. મન કોઈ પણ ઇન્દ્રિયોના વશમાં નથી. આ મન બળવાન થી પણ બળવાન, અત્યંત ભયંકર દેવ છે. જે આને પોતાના વશમાં કરી લે છે, એ જ દેવદેવ – ઇન્દ્રિયોનો વિજેતા છે.

[भिक्षु गीता – 48]


પોતાનામાં ભક્તિ રસ વહેવડાવો

भजन् भक्त्या विहिनो य: स चण्डालोsभिधीय ते  | 

चण्डालोsपि भजन् भक्त्या ब्राह्मणेभयोsधिको मम  ||

જે ભક્તિહીન થઇ ભજે છે તે ચંડાળ છે અને જે જન્મજાત ચંડાળ હોઈ ને પણ ભક્તિપૂર્વક મારુ ભજન કરે છે એ, તે બ્રાહ્મણ કરતા પણ શ્રેષ્ઠ છે.

[गणेश गीता – 9.8]


મનની વૃત્તિઓનો નિરોધ કરવો 

मन: प्रसाद: पुरुषस्य बन्धो मन: प्रसादो भवबन्धमुक्ति: |

मन: प्रसादाधिगमाय तस्मान्मनोनिरासं विदधीत विद्वान्  ||

મનની વિષય પ્રસન્નતા પુરુષને બંધન કર્તા છે અને મનની પ્રસન્નતા એ સંસારથી મુક્તિનો હેતુ છે. માટે મનની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે  વિદ્વાને મનની વૃત્તિઓનો નિરોધ કરવો જોઈએ.

[सर्व वेदान्त सिद्धान्त सार संग्रह – 374]


ક્ષત્રિય, સાપ અને બ્રાહ્મણનું અપમાન ન કરવું

एतत्त्रयं हि पुरुषं निर्दहेदवमानितम्  |

तस्मादेतत्त्रयं नित्यं नावमन्येत बुद्धिमान्  || 

આ ત્રણ (ક્ષત્રિય, સાપ અને બ્રાહ્મણ) પોતાની માનહાની કરનારને (અવસર પ્રાપ્ત થતા જ) ભસ્મ કરી દે છે. માટે બુદ્ધિમાન પુરુષે એમનું કદી અપમાન ન કરવું જોઈએ.

[मनुस्मृति – 4.136]


સુરા (દારૂ) પાન ન કરવું

पतिलोकं न सा याति ब्राह्मणी य सुरां पिबेत्  |

इहैव सा शुनि गृधी सूकरी चोपजायते  ||

જે બ્રાહ્મણ સ્ત્રી સૂરા (દારૂ) પીવે છે, એ પતિલોક નથી જતી પરંતુ આ જ લોકમાં કુતરી, ગીધડી અથવા સુવરી ની યોનિમાં ઉત્પન્ન થાય છે.

[याज्ञवल्क्यस्मृति – 5.256]


બ્રહ્મ ને જાણી લો

इह चेदवेदिथ सत्यमस्ति न चेदिहावेदीन्महति विनष्टि: |

भूतेषु भूतेषु विचिन्त्य धीरा: प्रेत्यास्माल्लोकाद भृता भवन्ति  ||

જો આ જન્મે બ્રહ્મ જાણી લીધો તો ઠીક છે, નહીતો ભારે નુકસાન છે. બુદ્ધિમાન મનુષ્ય આને સર્વ પ્રાણીમાં પ્રાપ્ત કરી આ લોકમાંથી નીકળી અમર થઇ જાય છે.

[कठोपनिषद – 2.5]


અડગ ધીર ધારણ કરો 

चलन्ति गिरय: कामं युगान्तपवनाहता: |

कृच्छेSपि न चलत्येव धीराणां निश्चलं मन: ||

પ્રલયકાળના પવનોના અથડાવાથી પર્વતો ભલેને ડોલવા લાગે! પરંતુ ધીર જનોના અડગ મન કષ્ટ આવી પડવા છતાં પણ ડગતા નથી.

[सुभाषितरत्नभाण्डागार – 2.1]


યથા યોગ્ય શ્રાદ્ધ કર્મ શ્રદ્ધાથી કરવા જોઈએ

आयु: प्रजां धनं विद्यां स्वर्गं मोक्षं सुखानि च  | 

प्रयच्छन्ति तथा राज्यं पितर: श्राध्दतर्पिता:  ||

શ્રાદ્ધથી સંતુષ્ટ થઇ પિતૃગણ શ્રાદ્ધકર્તાને દીર્ઘ આયુ, સંતતિ, ધન, વિદ્યા, રાજ્ય, સુખ, સ્વર્ગ, તથા મોક્ષ પ્રદાન કરે છે.

[मार्कण्डेय पुराण]


શ્રી હરિને હૃદયમાં રાખો 

लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराजय:  |

येषां ह्रदिस्थोभगवन्मङ्गलायतनं हरि:  ||

સર્વ મંગલોના સ્થાન રૂપ શ્રી હરિ જે લોકોના હૃદયમાં રહેલા છે, તેમને હંમેશા લાભ જ છે અને તેમનો જય જ છે; તેમને પરાજય ક્યાંથી હોય!

[सुभाषितरत्नभाण्डागार – 2.580 ]


પ્રાપ્ત વસ્તુની જાળવણી 

अलब्धं चैव लिप्सेत लब्धं रक्षेदवेक्षया  |

रक्षितं वर्धयेत्सम्यग्वृद्धं तीर्थेषु निक्षिपेत्  ||

અપ્રાપ્ત વસ્તુ પ્રયત્ન પૂર્વક પ્રાપ્ત કરતા રહેવું, પ્રાપ્ત વસ્તુને કાળજીપૂર્વક રક્ષણ કરવું, રક્ષિત વસ્તુને સારી રીતે વધારતા રહેવું અને વૃદ્ધિ પમાડેલ વસ્તુને સન્માર્ગે વાપરવું જોઈએ.

[सुभाषितरत्नभाण्डागार – 2.465 ]


રાજા ધર્માત્મા હોવો જોઈએ 

यावत् तु धर्मशील: स्यात् स  नृपस्तावदेव हि  | 

अन्यथा नश्यते लोको द्राSग्नुपोSपि विनश्यति  ||

રાજા જ્યાં સુધી ધર્માત્મા છે ત્યાં સુધી રાજા છે. અન્યથા, પ્રજા તો નષ્ટ થાય જ છે, સાથે સાથે રાજા પણ શીઘ્ર નાશ પામે છે.

[शुक्र नीति – 4.1.114]


જ્ઞાનનો સંગ્રહ કરતા રહો 

परं पलितकायेन कर्तव्य: श्रुतसंग्रह: | 

न तत्र धनिनो यान्ति यत्र यान्ति बहुश्रुता:  ||

વાળ ધોળા થઇ ગયા હોય તેણે પણ જ્ઞાનનો સંગ્રહ કરવો જોઈએ. મોટા જ્ઞાની જનો જે સ્થતિને પામે છે, તેને ધનિકો પામતા નથી.

[सुभाषित रत्नभाण्डागार, द्वितीय प्रकारण – सामान्य नीति – 556]


પરોપકાર વિનાનું જીવન ધિક્કાર છે.

परोपकारशून्यस्य धिक्मनुष्यस्य जीवितम्  |

यावन्त: पशवस्तेषां चर्माप्युपकरिष्यति  ||

આ જગતમાં જેટલા પશુઓ છે, એમનું ચામડું પણ બીજીના ઉપયોગમાં આવે છે, તો પછી જેને પરોપકાર કર્યો નથી, એવા માણસના જીવનને ધિક્કાર છે.

[सुभाषित रत्नभाण्डागार, परोपकार प्रशन्सा 7]


શ્રાદ્ધ પક્ષમાં વામન ચરિત્રનું પઠન / શ્રવણ મહાત્મ્ય 

क्रियमाणे कर्मणीदं दैवे पित्र्यैSथ मानुषे | 

यत्र यत्रानुकीर्त्येत तत्तेषां सुकृतं विदु: ||

કોઈ પણ કર્મ-કાંડ વખતે, કે શ્રાદ્ધ પક્ષમાં આ (વામન ચરિત્રનું વર્ણન)નું પઠન / શ્રવણ કરવાથી દેવતાઓ પ્રસન્ન થાય છે અને પિતૃલોકના પિતૃઓને શુભ ગતિ મળે છે. (અર્થાત એટલું પિતૃદોષ નિવારણ થાય છે).

[श्रीमद् भागवत् – 8.23.31]


વિદ્યા સમાન દ્રવ્ય નથી.

हर्तुर्न गोचरं याति दत्ता भवति विस्तृता |

कल्पान्तेSपि न या नश्येत्किमन्यद्विद्यया समम्  || 

ચોરની નજરે વિદ્યારૂપી દ્રવ્ય પડતું નથી, અને વિદ્યારૂપી દાન કરો, તો તેનો વિસ્તાર થાય છે, તેમ જ તેનો પ્રલય કાળે પણ નાશ થતો નથી. તે વિદ્યાના જેવું બીજું કયું દ્રવ્ય હોઈ શકે?

[सुभाषितरत्नभाण्डागार – 2.4]


યોગની પ્રવૃત્તિના ચિહ્નો.

लघुत्वमारोग्यमलोलुपत्वं वर्णप्रसादं स्वरसौष्ठवं च | 

गन्ध: शुभो मूत्रपुरीषमल्पं योगप्रवृत्तिं प्रथमां वदन्ति ||

શરીરની લઘુતા, આરોગ્ય, નિર્લોભ, સુંદર વર્ણ, સવારની મીઠાશ અલ્પ મળ-મૂત્ર અને સુગંધ આ બધા ચિહ્નો યોગની પ્રવૃત્તિ કરનારમાં એક પછી એક દેખાવા માંડે છે.

[श्वेताश्वतर उपनिषद – 2.13]


ભગવાન અને જગત અભિન્ન છે.

भजनियेनाद्वितीयमिदं कृत्स्नस्य तत्स्वरुपत्वात्  ||

આ સંપૂર્ણ વિશ્વ, ભજનિય ભગવાનથી અભિન્ન છે; કારણ સર્વ એનું જ સ્વરૂપ છે.

[शाण्डिल्य भक्ति सूत्र – 3.1.85]


અંતકાળે શ્રી હરીને જ ભજો.

अन्तकाले च मामेव स्मरन्मुक्त्वा कलेवरम्  |

य: प्रयाति स मद्भावं याति नास्त्यत्र संशय:  ||

જે પુરુષ અંતકાળમાં પણ મને જ સ્મરણ કરતા શરીર ત્યાગે છે એ મારા સાક્ષાત સ્વરૂપને પામે છે – આમાં કોઈ જ સંશય નથી.

[श्रिमद्भग्वद्गिता 8.5, अक्षरब्रह्मयोग]


અહિંસાવૃત્તિથી વેરવૃત્તિ જાય છે.

अहिन्सा प्रतिष्ठायां तत्सन्निधौ वैरत्याग: ||

અંત:કરણમાં અહિંસાવૃત્તિ દ્રઢ થતા જ આગળ જઈને વેરવૃત્તિનો ત્યાગ થાય છે.

[पातञ्जल योगसूत्र, अध्याय – 2.35, साधनपाद]


વિરલ લોકો 
शतेषु जायते शूरः सहस्रेषु च पण्डितः ।

वक्ता दशसहस्रेषु दाता भवति वा न वा ॥

સેંકડોમાં કોઈ એક શૂરવીર હોય છે, હજારોમાં કોઈ એક વિદ્વાન હોય છે, દસ હજારમાં કોઈ એક વકતા હોય છે. અને દાની તો લાખો માં કોઈ વિરલ હોય છે.

[व्यासस्मृति 4।58-59; स्कन्दपुराण, मा॰ कुमा॰ 2।70]


ધર્મ વડે ધન ઉપાર્જન કરો
 

धर्मार्जितभोगेन वैराग्यमुपजायते ।

विपरीतार्थभोगेन राग एव प्रजायते ।।

ધર્મ વડે ઉપાર્જિત ધનના ભોગવવાથી એક દિવસ વૈરાગ્ય અવશ્ય ઉદિત થાય છે, પરંતુ અધર્મ વડે ઉપાર્જન કરેલ ધનના ભોગવવાથી તેના પ્રતિ આસક્તિ આવે છે.

[विद्येश्वर संहिता 13 । 51 – 52]


અન્યાયથી પ્રાપ્ત કરેલું ધન દસ વર્ષથી વધુ ન ટકે
 
अन्यायोपर्जितं द्रव्यं दशवर्षाणि तिष्ठाति  ।
प्राप्ते चैकादशे वर्षे  समूलं तद् विनश्यति  ।।

અન્યાય અને અનીતિથી ઉપાર્જન કરેલ / ઉપર્જિત (એકઠું) કરેલું ધન વધુમાં વધુ 10 વર્ષ ટકે છે, જેવું 11મુ વર્ષ થાય કે તે મૂળ સહીત નાશ પામે છે.

[चाणक्य नीति – 15.6]


ચક્ષુથી બ્રહ્મ દેખાય નહિ પણ બ્રહ્મથી ચક્ષુ જોવે છે.
 
यच्चक्षुषा न पश्यति येन चक्षुगुंषि पश्यति  |
तदेव ब्रह्म त्वं विद्धि नेदं यदिदमुपासते  || 

જેને કોઈ પણ ચક્ષુ દ્વારા નથી જોતું, જેના દ્વારા ચક્ષુ પોતાના વિષયોને જોવે છે, એને તું બ્રહ્મ જાણ. ચક્ષુથી દેખાતા સર્વ દ્રશ્યવર્ગની લોકો ઉપાસના કરે છે, તે બ્રહ્મ નથી.

[केनोपनिषद – 1.6]


ઈશ્વરની ભક્તિ દ્રઢ નિશ્ચયથી કરવી હોય તો 
 
भोगैश्वर्यप्रसक्तान्नां तयापह्रतचेतसाम्  |
व्यवसायात्मिका बुद्धि: समाधौ न विधीयते  ||
 

ઇન્દ્રિયભોગ તથા ભૌતિક ઐશ્વર્યના પ્રતિ આસક્ત રહેનાર એ બધી વસ્તુઓથી મોહગ્રસ્ત થઇ જાય છે, તેઓના મનમાં ભગવાન પ્રતિ ભક્તિનો દ્રઢ નિશ્ચય નથી થતો.

[श्रिमद्भगवद्गिता – 2.44]


સત્પુરુષ કેન્દ્રી બનો 

सद्भिःपुरस्तादभिपूजितः स्यात् सद्भिस्तथा पृष्ठतो रक्षितः स्यात् ।

सदा सतामतिवादांस्तितिक्षेत्स तां वृत्तं पालयन् साधुवृत्तः ॥
શ્રેષ્ઠ મનુષ્યો સદા સત્પુરુષોની પ્રસંશા કરતા હોય છે, એમનો આધાર લેવો જોઈએ, એમના કટુ વચનો સહન કરવા જોઈએ અને એમના ચરિત્રોનું અનુકરણ કરવું જોઈએ.
[मत्स्यपुराण – 36.10]

શ્રી રઘુનાથજીનું ચરિત્ર  

चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम्  |
एकैकमक्षरं पुन्सां महापातकनाशनम्  ||
શ્રી રઘુનાથજીનું ચરિત્ર સો કરોડ વિસ્તાર વાળું છે. એનો એક એક અક્ષર મનુષ્યોના મહાપાપોનો નાશ કરવા વાળો છે.

[रामरक्षास्तोत्र – 1]


મનને જીતવું જ પડશે 

मनसो विजयान्नान्या गतिरस्ति भवार्णवे  । 
महानरकसाम्राज्ये मत्तदुष्कृतवारणा:  । 
आशाशरशलाकाढ़्या दुर्जया हिन्द्रियारय:  ॥ 
   

મનને જીત્યા વિના સંસાર સમુદ્રમાં બીજો કોઈ માર્ગ નથી. સંસાર મોટા નરકોનું સામ્રાજ્ય છે જ્યા પાપ રૂપી મોટા હાથીઓ છે અને ઇન્દ્રિયો રૂપી શત્રુ, આશા રૂપી અનેક તીક્ષ્ણ બાણોથી હોવાને કારણે દુર્જય (જીતી ન શકાય) તેવો છે.

[पंचम अध्याय, महोपनिषद]


જ્ઞાનીની નફિકરાઈ  

क्षुधां देहव्यथां त्यक्त्वा बाल: क्रीडति वस्तुनि  । 
तथैव विद्वान रमते निर्ममो निरहं सुखी  ॥  
  

જેમ બાળક ભૂખ અને શરીરનું દુ:ખ ભૂલી રમવાની વસ્તુ લઈને રમે છે, એવી જ રીતે જ્ઞાની – અહંકાર અને મમતા રહિત તથા સુખી થઈને આત્મામાં જ રમણ કરે છે.

[विवेकचूड़ामणि – 538]


ઈશ્વર અપ્રત્યક્ષનો વિષય છે. 

सर्वे निमेषा जज्ञिरे विद्युत: पुरुषादधि । 
नैनमूर्ध्वं न तिर्यञ्च न मध्ये परीजग्रभत ॥  
  

વિશેષ કાંતિમાન એ પુરુષ (બ્રહ્મ) થી જ કાળ ઉત્પન્ન થયા તથા, કોઈ પણ એ પુરુષને ઉપરી ભાગમાં ન કે ચારે દિશાઓમાં કે ન મધ્યમાં પકડી શકે છે. અર્થાત, એ પ્રત્યક્ષ આદિનો વિષય પણ નથી.

[यजुर्वेद – 32.2]


બ્રાહ્મણોનો સ્વભાવ 

ब्राह्मणा: साधव: शान्ता नि:सङ्गा भूतवत्सला: ।
एकान्तभक्ता अस्मासु निर्वैरा: समदर्शिन:  ।।
 

બ્રાહ્મણ સ્વભાવથી જ પરોપકારી, શાંતચિત્ત અને અનાસક્ત હોય છે. તેઓ કોઈની સાથે વેરભાવ નથી રાખતા અને સમદર્શી હોવા છતાં પ્રાણીઓનું કષ્ટ જોઈને એના નિવારણ માટે સાચા હૃદયથી લાગી પડે છે. એમની સહુથી મોટી વિશેષતા તો એ હોય છે કે આપણા અનન્ય પ્રેમી અને ભક્ત હોય છે.

[श्रीमद्भागवत – 12.10.20]


અસત્ય (સંસાર) માં  સારું શું અને ખરાબ શું?

किं भद्र किमभद्रं वा द्वैतस्यावस्तुन: कियत्  |

वचोदितं तदनृतं मनसा ध्यातमेव च  ||

સંસારની બધી વસ્તુઓ વાણીથી કહી શકાય એવી અને મનથી વિચારી શકાય એવી છે; માટે એ સર્વ અસત્ય છે. જો દ્વૈત જેવું કાંઈ છે જ નહિ તો પછી એમાં સારું શું અને ખરાબ શું?

[श्रीमद्भागवत – 11.28.4]


તત્વજ્ઞાનીઓને સંસાર નથી 

वयसि गते क: कामविकार: शुष्के निरे क: कासार:  |

क्षीणे वित्ते क: परिवारो ज्ञाते तत्वे क: संसार:  ||

આયુ વીતી ગયા પછી કામ વિકાર કેવો? જળ સુકાઈ ગયા પછી સરોવર કેવું? ધન ક્ષીણ થયા પછી પરિવાર કેવો? તત્વજ્ઞાન થઇ ગયા પછી સંસાર કેવો?

[चर्पटपञ्जरिका]


અસંકલ્પથી મોક્ષ છે.

संकल्पत्वं हि बन्धस्य कारणं तत्परित्यज्य  |

मोक्षो भवेदसंकल्पात्तदभ्यासं धिया कुरु  ||

પ્રત્યેક સંકલ્પ જ બંધન નું કારણ છે, માટે: તું એનો ત્યાગ કર; કારણ અસંકલ્પથી મોક્ષ થાય છે, માટે એનો તું બુદ્ધિથી અભ્યાસ કર.

[अन्नपूर्णा उपनिषद – 5.102]


ભૂત માત્રને યથાર્થ સ્વરૂપે જ જુઓ, આત્મ સ્વરૂપે નહિ

पश्य भूतविकारांस्तवं भूतमात्रान् यथार्थत: |

तत्क्षणाद्वन्धनिर्मुक्त: स्वरुपस्यो भविष्यसि ||

ભૂતો (જીવો)ના વિકાર (દેહ, ઈન્દ્રીઓ આદિ)ને યથાર્થ રૂપ થી ભૂત-માત્ર જ જોવા, નહી કે આત્મ સ્વરૂપથી. એ જ સમયે તું બંધનોથી છૂટેલો પોતાના સ્વરૂપમાં સ્થિત થઈશ.

[अष्टावक्रगीता – 9.7]


બ્રાહ્મણ સહુથી શ્રેષ્ઠ છે  

भूतानां प्राणिन: श्रेष्ठा: प्राणिनां  बुध्धिजीविन:  |

बुध्धिमत्सु नरा: श्रेष्ठा नरेषु ब्राह्मणा: स्मृता:  ||

પૃથ્વી આદિ પંચમહાભૂતોમાં પ્રાણધારી જીવ શ્રેષ્ઠ છે. પ્રાણીઓમાં એ જીવ શ્રેષ્ઠ છે જે બુદ્ધિથી કાર્ય કરે છે. આ બુદ્ધિમાન પ્રાણીઓમાં મનુષ્ય શ્રેષ્ઠ છે. સર્વ મનુષ્યોની તુલનામાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે.

[मनुस्मृति – 1.97]


ઈશ્વરાર્પણ ઉત્તમમાર્ગી બનો 

अप त्यं वृजिनं रिपुं स्तेनमाने दुराध्यम्  |

दविष्ठमस्य सत्पते कृधी सुगम्  ||

ઈશ્વરમાં ધ્યાન લગાડનાર ઉત્તમ ધર્મમાર્ગ પર અગ્રસર વ્યક્તિનું શત્રુ તથા પાપીજન કાંઈ જ બૂરું નથી કરી શકતા.

[सामवेद – एकादश दशति – 1.9]


વિના ભક્તિ જીવનમાં સુખ નથી 

संन्यासस्तु महाबाहो दु:खमाप्तुयोगत:  |

योगयुक्तो मुनिब्रह्म न चिरेणाधिगच्छति  ||

ભક્તિમાં મન લગાવ્યા વિના માત્ર સમસ્ત કર્મોનો પરિત્યાગ કરવાથી કોઈ સુખ નથી મળી શકતું. પરંતુ ભક્તિમાં રત વિચારવાન વ્યક્તિ શીઘ્ર જ પરમેશ્વરને પ્રાપ્ત કરી લે છે.

[गीता – कर्मयोग – 6]


(મન થી) ક્રિયાનો નાશ કરવો 

क्रिया नाशाद्भवेच्चिन्तानाशोस्माद्वासनाक्षय:  |

वासनाप्रक्षयो मोक्ष: सा जीवन्मुक्तिरिष्यते  ||

ક્રિયાનો નાશ થવા પર ચિંતાનો નાશ થાય છે; અને ચિંતાનો નાશ થવા પર વાસનાનો નાશ થાય છે. વાસનાનો નાશ એ જ મોક્ષ છે અને એ જ જીવન્મુક્તિ કહેવાય છે.

[अध्यात्मोपनिषद – 12]

આ કઈ ક્રિયા (Process) ની વાત છે? – A process where we mortgage our happiness to the outside situation. Becoming free from this process is – The whole Science of SPIRITUALITY. ક્રિયા એટલે શરીર થી થતુ કર્મ. અને જ્યાં સુધી “હું” શરીર છું તે અજ્ઞાન દૂર થાય ત્યારે ક્રિયા નો નાશ થાય.


આત્માને કેવી રીતે જાણવો

सत्येन दानेनतपसानाशकेन ब्रह्मचर्येण  |

निर्वेदनेनानाशकेन षङ्गेनैव साधयेदेतत्त्रयं विक्षेत्  ||

એને (આત્માને) તો સત્ય, દાન, તપ, અનશન, બ્રહ્મચર્ય, અખંડ વૈરાગ્ય – આ છ સાધનાઓથી જાણવો જોઈએ.

[सुबालोपनिषद]


વાસનાઓનો સંપૂર્ણ ત્યાગ એ જ મોક્ષ 

अशेषेण परित्यागो वासनायां य उत्तम:  |

मोक्ष इत्युच्यते सद्भि: स एव विमलक्रम:  ||

શેષ ન રહે એ પ્રકારે વાસનાઓનો સંપૂર્ણ ત્યાગ એ જ ઉત્તમ છે, આ મોક્ષને સત્પુરુષ નિર્મલક્રમ કહે છે.

[महोपनिषद – 39]


રાજા અને અધિકારી વર્ગે હંમેશ સદાચારી રહેવું

अधिकारिगणो राजा सद्व्रुत्तौ यत्र तिष्ठत:  |

उभौ तत्र स्थिरा लक्ष्मीर्विपुला सम्मुखी भवेत्  ||

જે રાજ્યમાં અધિકારી વર્ગ અને રાજા બંનેય સદાચારી હોય, એ રાજ્યમાં લક્ષ્મી સ્થિર ભાવથી અત્યધિક માત્રામાં સદાય સામે જ રહે છે.

[शुक्रनीति – 2.254]


આત્મા કેવો હોય છે?

चितितन्मात्रेण तदात्मकत्वादित्यौडुलोमि:  |

(આ આત્મા) બહાર-અંદર એમ ભેદ રહિત, કેવળ ચૈતન્યમાત્ર સ્વરૂપમાં સ્થિત રહે છે, એવો આચાર્ય ઔડુલોમિનો મત છે.

[ब्रह्मसूत्र – 4.4.6]


અખિલ જગત વાસ્તવમાં પ્રત્યક્ષ આત્મા જ છે.

ताप्यतापकरुपेण विभातमखिलं जगत्  |

प्रत्यगात्मातया भाति ज्ञानाद्वेदान्त्वाक्यजात्  ||

અખિલ જગત તાપ્ય અને તાપકરૂપમાં (અજ્ઞાન દશામાં) દેખાય છે; પરંતુ વેદાંત વાકયોથી ઉત્પન્ન થયેલ જ્ઞાનથી કેવળ પ્રત્યગાત્મારૂપ પ્રકાશે છે.

[कठरुद्र उपनिषद – 36]


સૂર્યાસ્ત પશ્ચાત અતિથિને ભોજન અવશ્ય કરાવો 

अप्रणोध्योतिथि: सायं सूर्योढो गृहमेधिना  |

काले प्राप्तस्त्वकाले व नास्यानश्न न्गृहे वसेत्  ||

સૂર્ય અસ્ત થયા પશ્ચાત અસમય આવનાર અતિથિને પણ પોતાના ઘરેથી વિના ભોજન કરાવ્યે પાછો મોકલવો ઉચિત નથી.

[मनुस्मृति – 3.105]


સર્વોત્તમ બાબતો

आनृशंस्यं परो धर्म: क्षमा च परमं बलम्  |

आत्मज्ञानं परं ज्ञानं सत्यं व्रतपरं व्रतम्  ||

ક્રૂરતાનો અભાવ અર્થાત દયા ભાવ સહુથી મહાન ધર્મ છે, ક્ષમા સહુથી મોટું બળ છે, સત્ય સહુથી ઉત્તમ વ્રત છે, અને પરમાત્માના તત્વનું જ્ઞાન જ સર્વોત્તમ જ્ઞાન છે.

[महाभारत, वनपर्व – 213.30]


પોતાની સાથે અન્યનું પણ  પેટ ભરો 

जिवत्येक: स लोकेषु बहुभिर्योनुजिव्यते  |

जीवन्तोऽपि मृताश्चान्ये पुरुषा स्वोदरम्भरा:  ||

જે પુરુષ આ લોકમાં અનેક વ્યક્તિઓની જીવિકા  ચલાવે છે,  એનું જ જીવન સફળ છે. અન્ય જણ જે માત્ર પોતાનું જ પેટ ભરે છે, એ જીવતે-જીવ મરેલા સમાન જ છે, એનું જીવવું ન જીવવું એક બરાબર જ છે.

[दक्षस्मृति  – 2.40]


વિષ્ણુભક્તોથી યમદૂતો દૂર રહે છે.

यम उवाच:

स्वपुरुषमभि वीक्ष्य पाशहस्तं वदति यम: किल तस्य कर्णमूले  |

परिहर मधुसूदनप्रपन्नान् प्रभुरहमन्यनृणां न वैष्णवानाम्  ||

અરે દૂતો! તમે ભગવાન મધુસૂદનની શરણમાં ગયેલ પ્રાણીઓને છોડી દેજો, કારણકે મારી પ્રભુતા વૈષ્ણવભક્તો ઉપર નથી.

[नृसिन्हपुराण – 9.1]


આત્મા સત્ય કેમ છે?

ततो विकारा प्रकृतरहमुखा देहावसाना विषयाश्च सर्वे:  |

क्षणेन्यथाभावितया ह्यमीषामसत्त्वमात्मा तु कदापि नान्यथा  ||

અહંકારથી માંડીને દેહ સુધી માયાના સર્વ વિકાર તથા વિષય ક્ષણ-ક્ષણ બદલતા રહેતા હોવાથી ખોટા (અસત્ય) છે અને આત્મા ક્યારેય બદલાતો નથી; માટે એ સત્ય છે.

[विवेकचूडामणि – 351]


ખુલ્લામાં મળમૂત્ર ન ત્યાગો 

प्रत्यग्निं प्रतिसूर्यं च प्रतिसोमोदकद्विजम्  |

प्रतिगां प्रतिवातं च प्रज्ञा नश्यति मेहत:  ||

એ વ્યક્તિની બુદ્ધિ નષ્ટ થઇ જાય છે જે આગ, સૂરજ, ચંદ્ર, પાણી, બ્રાહ્મણ, ગાય અને હવાની સામે મળ-મૂત્રનો ત્યાગ કરે છે.

[मनुस्मृति – 4.52]


પ્રજ્ઞાવાન ને શોક નથી 

व्यास उवाच:

प्रज्ञाप्रासादमारुह्याशोच्य: शोचतो जनान्  |

भूमिष्ठानिव शैलस्थ: सर्वान्प्राज्ञोऽनुपश्यति  ||

જેમ પર્વત ઉપર ઉભેલો મનુષ્ય નીચે પૃથ્વી પર લોકોને જુએ છે, એવી જ રીતે પ્રજ્ઞા (જ્ઞાનમય બુદ્ધિ) રૂપી પ્રાસાદ ઉપર ઉભેલો અશોક મનુષ્ય શોક કરનાર લોકોને જુએ છે.

[पातञ्जलयोगदर्शन – 1.47]


સ્વધર્મને જ વળગી રહો, પરધર્મથી દૂર રહો

श्रेयान्स्वधर्मो विगुण: परधरमात्स्वनुष्ठितात्  |

स्वधर्मे निधनं श्रेय: परधर्मो भयावह:  ||

સારી રીતે આચરણમાં લાવેલ પરધર્મથી પણ ગુણ રહિત સ્વધર્મ અતિ ઉત્તમ છે. પોતાના ધર્મમાં તો મરવું પણ કલ્યાણકારક છે અને પરધર્મ તો ભય આપનાર છે.

[श्रीमद्भगवद्गीता – 3.35]


વેદોનો સ્વાનુભવ કરો 

न गच्छति विना पानं व्याधिरौषधशब्दत:  |

विनापरोक्षानुभवं ब्रह्मशब्दैर्नमुच्यते  ||

જેમ વગર ઔષધ પીધે કેવળ નામ માત્રથી રોગ જતો નથી, એમ વગર સ્વયં અનુભવે “વેદ” ના શબ્દ માત્રથી મુક્તિ સંભવ નથી.

[विवेकचूडामणि – 64]


નિષ્ફળ દાન 

धूर्ते वन्दिनि मन्दे च कुवैद्ये कितवे शठे  |

चाटुचारणचौरेभ्यो दत्तं भवति निष्फलम्  ||

નવ પ્રકારના વ્યક્તિને કાંઈ પણ આપવામાં આવે તો નિષ્ફળ જાય છે. 1. ધૂર્ત 2. બંદી (કેદી) 3. મૂર્ખ 4. અયોગ્ય વૈદ્ય 5. જુઆરી 6. શઠ 7. ચાટુકાર 8. પ્રશંસાના ગીત ગાનાર ચારણ 9. ચોર

[दक्षस्मृति – 3.16]


અક્ષય તથા સફળ દાન 

मातापित्रोर्गुरौ मित्रे विनीते चोपकारिणी  |

दीनानाथविशिष्टेभ्यो दत्तं तु सफ़लं भवेत्  ||

માતા, પિતા, ગુરુ, મિત્ર, વિનયી, ઉપકારી, દીન, અનાથ, તથા સાધુ-સંત-મહાત્મજનોને જે કાંઈ પણ આપીએ તે સફળ તથા અક્ષય થાય છે.

[दक्षस्मृति – 3.15]


કામમય નહિ કામપૂર્ણ બનો

कामान्य: कामयते मन्यमान: स कामभिजायते तत्र तत्र  |

पर्याप्तकलस्य क्रुतात्मणस्त्विहैव सर्वे प्रविलीयन्ति कामा:  ||  

ભોગોના ગુણોનું ચિંતન કરનાર પુરુષ ભોગોની ઈચ્છા કરે છે તે તે કામનાઓના યોગથી જ્યા તે પ્રાપ્ત થઇ શકે છે ત્યાં તે ઉત્પન્ન થાય છે; પરંતુ જેની કામનાઓ પૂર્ણ થઈ ચુકી છે એવા વિશુદ્ધ અંત:કરણ વાળા પુરુષની બધી કામનાઓ અહીંજ સર્વથા વિલીન થઇ જાય છે.

[मुण्डकोपनिषद – 2.2]


ધનવાન સજ્જનના લક્ષણ 

अहो बत विचित्राणि चरितानि महात्मनाम्  | 

लक्ष्मीं तृणाय मन्यन्ते तद्भारेण नमन्ति च  ||

આ એક આશ્ચર્ય છે કે મહાત્માઓનું ચરિત્ર અતિ વિચિત્ર હોય છે.  ધનને ઘાસના તણખલા બરાબર સમજે છે પરંતુ એના ભારથી ઝૂકી જાય છે. (વિનમ્ર  જાય છે).

[चाणक्यनीति – 13.4]


દુર્જનોનો સંગ છોડો 

तरङ्गायिता अपीमे सङ्गात्समुद्रायन्ति  ||

આ (કામ, ક્રોધ, મોહ વગેરે) તરંગોની જેમ આવે છે છતાં પણ (દુર્જનના) સંગથી સમુદ્ર જેવા વિશાળ થઇ જાય છે.

[नारदभक्तिसूत्र – 3.3.45]


ભક્તિ પ્રાપ્તિનું સાધન  .

प्रमाणैस्तत्सदाचारैस्तदभ्यासैर्निरन्तरम्  |

 बोधयनात्मनात्मानं भक्तिमप्युत्तमां लभेत्   ||

સર્વોત્તમ ભક્તિની પ્રાપ્તિ – શાસ્ત્ર પ્રમાણ, સદાચાર તથા નિરંતર સ્વરૃપોપલબ્ધી ના અભ્યાસ દ્વારા શનૈઃ: શનૈઃ: થાય છે.

[ब्रह्मसंहिता – 59]


નિર્દોષ તથા સારું આચરણ કરો  .

यान्यनवध्यानि कर्माणि | तानि सेवित व्यानि | नो इतराणि |

चान्यस्माकं सुचरितानि | तानि त्वयोपास्यानि नो इतराणि |

જે જે નિર્દોષ કર્મો છે, એનું જ સેવન કરવું, બીજા સદોષ કર્મોનું નહિ. એમાં થી પણ જે સારા સારા આચરણ છે એનું જ સેવન કરવું અન્યથા કદી નહિ.

[तैत्तिरीय उपनिषद – 1.11]


હિતકારી અપ્રિય કહેનારા ને સાંભળનારા બહુ થોડા છે.

सुलभा: पुरुषा राजन् सततं प्रियवादिन:  |

अप्रियस्य च पथ्यस्य वक्ता श्रोता च दुर्लभ:  ||

સંસારમાં પ્રિય વચન બોલવા વાળા પુરુષ તો બહુ જ મળશે, પરંતુ અપ્રિય હોવા છતાં હિતકારી હોય, એવી વાત કરનાર અને સાંભળનાર દુર્લભ છે.

[वाल्मीकि रामायण – 37.2]


ચિત્ત રૂપી લાખને ભાવ રૂપી ઉષ્ણતાથી બચાવો  .

कामक्रोधभयस्नेहहर्ष शोकदयादय:  |

तापकाश्चित्तजतुनस्तच्छान्तौ कठिनं तु तत्  ||

 કામ, ક્રોધ, ભય, સ્નેહ, હર્ષ, શોક, દયા આદિ ભાવ ચિત્ત રૂપી લાખને તપાવીને દ્રવિત કરવા વાળા છે. શાંત થવા પર ચિત્ત રૂપી લાખ જેમ ની તેમ કઠોર થઇ જાય છે.

[भक्तिरसायण, मधुसूदनाचार्य – 1.5]


ઉર્ધ્વલોક પણ ત્યાજ્ય છે.

आवृत्तिस्तत्राप्युतरयोनियोगाद्धेय: ||

ઉર્ધ્વલોક (અથવા શ્રેષ્ઠ યોની) માં થી પણ (પુણ્યકર્મ ક્ષીણ થવા પર) નીચેની યોનીમા આવવું પડે છે; માટે ઉર્ધ્વલોક (સ્વર્ગલોક, મહર્લોક, જનલોક, તપલોક અને સતલોક) પણ ત્યાજ્ય છે.

[साङ्ख्ययोग – 3.52, पातञ्जल परिशिष्ट]


તત્વજ્ઞાનની પ્રાપ્તિ કેવળ જિજ્ઞાસુઓને જ.

नाहं मनुष्यो न च देवयक्षौ न ब्राह्मणक्षत्रियवैश्यशूद्र:  |

न ब्रह्मचारी न गृही वनस्यो भिक्षुर्न चाहं निजबोधरूप:  ||

તત્વજ્ઞાનની પ્રાપ્તિ ન મનુષ્યને થાયછે કે ન દેવને  કે ન તો યક્ષને. ન બ્રાહ્મણને થાય છે, ન ક્ષત્રિયને, ન વૈશ્યને કે ન તો શૂદ્રને. ન બ્રહ્મચારીને થાય છે, ન ગૃહસ્થને, ન વાનપ્રસ્થીને કે ન તો સન્યાસીને. એ તો માત્ર જિજ્ઞાસુઓને જ થાય છે.

[हस्तामलकस्तोत्र]


મુક્તિનો માર્ગ બ્રહ્મમાં આસક્તિ

समासक्तं यदा चित्तं जन्तोविषयगोचरे  |

यद्येवं ब्रह्मणि स्यात्तत्को न मुच्येत बन्धनात्  ||

જેટલું (સંસારના) વિષયોમાં આસક્ત એવા મનુષ્યનું ચિત્ત જો એટલું જ આસક્ત બ્રહ્મમાં થાય, તો બંધનથી વળી કોણ મુક્ત ન થાય?

[मैत्रायणी उपनिषद – 5]


સર્વ દુ:ખોનો ઉપાય મનોનિગ્રહ

मनसो निग्रहायत्तमभयं सर्वयोगिनाम्  |

दुखक्षय: प्रबोधश्चाप्यक्षया शान्तिरेव च  || 

સર્વ યોગીજનોનો અભય, દુ:ખ નાશ, જ્ઞાનની ઉપલબ્ધી તથા અમર શાંતિનો આધાર મનના નિગ્રહ (નિરોધ / સંયમ) ઉપર છે.

[माण्डूक्य उपनिषद, अद्वैत प्रकरण – 40]


આત્મા (હું) કોણ.

स्थूलसूक्ष्मकारणशरिराद् व्यतिरिक्त: पञ्चकोशातीत: सन् अवस्थात्रयसाक्षी सच्चिदानन्दस्वरुप: सन् यस्तिष्ठति स आत्मा  ||

સ્થૂળ, સૂક્ષ્મ તથા કારણશરીરથી ભિન્ન, પંચકોશથી પૃથક, જાગૃત-સ્વપ્ન-સુષુપ્તિ ત્રણે અવસ્થાઓનો સાક્ષી સચ્ચિદાનંદ સ્વરૂપ એ જ આત્મા છે.

[तत्वबोध]


સાંસારિક વિષય વિષ સમાન 

मुक्तिमिच्छसि चेत्तात विषयान्विषवत्त्यज  |

જો મુક્તિની ઈચ્છા રાખતા હોવ તો (સંસારના) વિષયોનો વિષ સમાન સમજીને ત્યાગ કરો.

[अष्टावक्रगीता – 1.2]


અધિક સંગ્રહ ન કરો 

यावद् भ्रियेत जठरं तावत् स्वत्वं हि देहिनाम्  |

अधिकं योऽभि मन्येत स स्तेनो दण्डमर्हति  ||

જેટલાથી પેટ ભરાય (શરીર નિર્વાહ થાય), એટલી જ વસ્તુ મનુષ્યની છે, એનાથી અધિક સંગ્રહ કરવું એ ચોરી છે અને એને દંડ મળશે.

[श्रीमदभागवत् – 7.14.8]


આચરણ થી જ ધર્મ છે.

सर्वागमानामाचार: प्रथमं परिकल्पते  |

आचारप्रभवो धर्मो धर्मस्य प्रभुरच्युत: ||

સર્વ શાસ્ત્રોમાં આચારને પ્રથમ સ્થાન માનેલું છે. આચારથી જ ધર્મની ઉત્પત્તિ થાય છે અને ધર્મના સ્વામી અચ્યુત ભગવાન છે.

[महाभारत, अनुशासन पर्व – 149.137]


ગર્ભપાત ન કરવો

गर्भपातनपापाढया बभूव प्राग्भवेण्डज  |

साऽत्रैव तेन पापेन गर्भस्थैर्यं न विन्दति  ||

જે (સ્ત્રી) પૂર્વ જન્મમાં ગર્ભપાત કરે છે, આ જન્મમાં એ પાપ ને કારણે એનો ગર્ભ સ્થિર નથી રહેતો અર્થાત એ સંતાનહીન રહે છે.

[वृध्दसूर्यारुणकर्मविपाक – 1187.1]


ભક્તને માં નું ઋણ નથી 

कुलं पवित्रं जननि कृतार्था वसुन्धरा पुज्यवति च तेन  |

अपार संवित्सुखसागरेस्मिन् लीनं परे ब्रह्मणि यस्य चेत:  ||

જ્ઞાન તથા આનંદના અપાર સમુદ્ર પરબ્રહ્મ પરમાત્મામાં જેનું ચિત્ત વિલીન થઇ ગયું, એનું કુલ પવિત્ર થઇ જાય છે, માતા કૃતાર્થ થઈ જાય છે અને પૃથ્વી પવિત્ર થઇ જાય છે.

[स्कन्द्पुराण – 55.140]


કળયુગમાં કૃષ્ણનું સંકીર્તન 

अत्यन्तदुष्टस्य कलेश्यमेको महान् गुण:  |

कीर्तनादेव कृष्णस्य मुक्तबन्ध: परं व्रजेत्  ||

આ અત્યંત દુષ્ટ કળયુગમાં આ જ એક મહાન ગુણ છે, કે – ભગવાન શ્રીકૃષ્ણનું સંકીર્તન કરવાથી જ મનુષ્ય સમસ્ત બંધનોથી મુક્ત થઇ પરમપદને પ્રાપ્ત કરી લે છે.

[विष्णुपुराण – 6.2.40]


ભગવત્સ્મરણનો મહિમા 

लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराजय:  |

येषामिन्दीवरश्यामो ह्रदयस्थो जनार्दन:  ||

જેઓના હૃદયમાં કમળ-દળ સમાન શ્યામવર્ણ ભગવાન જનાર્દન વિરાજે છે; તેઓને નિરંતર લાભ અને વિજય છે, એમની પરાજય કેવી? (એમને દુ:ખ કેવું?)

[गरुडपुराण – उत्तर – 35.45]


સંતોષી રહો 

स तु भवति दरिद्रो यस्य तृष्णा विशाला  |

मनसि च परितुष्टे कोर्थवान्  को दरिद्र:  ||

જેની તૃષ્ણા મોટી એ દરિદ્ર છે. મન સંતુષ્ટ થયું ત્યાં ધનવાન કોણ અને દરિદ્ર કોણ?

[वैराग्यशतक – 48]


જેવું અન્ન એવી પ્રજા 

दीपो भक्षयते ध्वान्तं कज्जलं च प्रसूयते  |

यदन्नं भक्षयेन्नित्यं जायते तादृशि प्रजा  ||

દિપક અંધકારને ખાઈ કાજળ ઉત્પન્ન કરે છે, એવી જ રીતે મનુષ્ય જેવું અન્ન ખાય છે એવી પ્રજા ઉત્પન્ન કરે છે. 

[चाणक्यनीति – 8.3]


ક્રોધ ઉપર ક્રોધ કરવો.

अपकारिणि कोपश्चेत्कोपे कोप: कथं न ते  |

धर्मार्थकाममोक्षाणां प्रसह्य परिपन्थिनि  ||

અપકાર કરવા વાળા ઉપર જો ક્રોધ થાય છે, તો પછી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ – ચારેય પુરુષાર્થનો બળવાન શત્રુ રૂપી ક્રોધ ની ઉપર ક્રોધ કેમ નથી આવતો? 

[जीवन्मुक्तिविवेक]


નારીઓનું સન્માન કરો.

यत्र नार्यस्तु पूज्यन्ते तत्र रमन्ते देवता:  |

જ્યા નારીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓ વાસ કરે છે. 

[कल्याण, धर्मशास्त्राङ्क]


આત્મા કેમ અદ્રશ્ય છે.

रूपं द्रश्यम लोचनं दृक् तद्द्रश्यं दृक् तु मानसम्  |

दृश्या धीवृत्तय : साक्षी दृगेव तु  न द्रश्यते  ||

સર્વપ્રથમ નેત્ર દ્રષ્ટા છે  અને રૂપ દ્રશ્ય છે, પછી મન દ્રષ્ટા છે અને નેત્રાદિ ઇન્દ્રિયો દ્રશ્ય છે, પછી બુદ્ધિ દ્રષ્ટા છે અને મન દ્રશ્ય છે. અન્તે બુદ્ધિની વૃત્તિઓનો પણ જે દ્રષ્ટા છે, એ સાક્ષી (સ્વયંપ્રકાશ આત્મા) કોઈનું પણ દ્રશ્ય નથી.

[वाक्यसुधा – 1]


સુખ-દુ:ખ આપણા જ કર્મો થકી છે 

सुखस्य दु:खस्य न कोऽपि दाता परो ददातीति कुबुध्धि रेषा  |

अहं करोमीति वृथाभिमान: स्वकर्मसूत्रे ग्रथितो हि लोक:  ||

સુખ કે દુ:ખ આપનાર કોઈ બીજું નથી. અન્યથા સમજવું કુબુદ્ધિ છે. “હું કરું છું ” – એ વૃથા અભિમાન છે; કારણ લોકો પોતપોતાના કર્મોની દોરીથી બંધાયેલા છે. 

[अध्यात्मरामायण – 2.6.6]


પૃથ્વી શેના પર ટકેલી છે.

गोभिर्विप्रैश्च वेदैश्च सतीभि: सत्यवादिभि:  |

अलुब्धैर्दानशीलैश्च सप्तभिर्धार्यते मही  ||

ગાયો, બ્રાહ્મણ, વેદ, સતી સ્ત્રી, સત્યવાદી, લોભરહિત અને દાનશીલ – આ સાતેય દ્વારા આ પૃથ્વી ધારણ થાય છે અર્થાત ટકેલી છે.

[स्कन्दपुराण – 2.71]


ધર્મનો સાર

श्रूयतां धर्मसर्वस्वं श्रुत्वा वैवावधार्यताम्  |

आत्मन: प्रतिकूलानि परेषां न समाचरेत्  ||

ધર્મસર્વસ્વ થોડામાં જ કહી દેવામાં આવે તો – જે બાબત પોતાને પ્રતિકૂળ હોય, એ બીજાના પ્રતિ ન કરવી.

[पद्मपुराण – 19.357-358]


સમસ્ત સંસાર કુટુંબ છે.

अयं निज: परो वेत्ति गणना लघुचेतसाम्  |

उदारचरितानां तु वसुधैव कुटुंबकम्  ||

આ તો અમારું છે અને આ પરાયું છે – આવો વિચાર તો તુચ્છ હૃદય વાળા લોકોને થાય છે. ઉદાર હૃદયને તો સમસ્ત સંસાર જ કુટુંબ છે.

[पञ्चतन्त्र, अपरीक्षित – 37]


પરમાત્માની ભક્તિ શા માટે.

चैतन्यात्सर्वमुत्पन्नं जगदेतच्चराचरम्  |

तस्मात्सर्वं परित्यज्य चैतन्यं तु समाश्रयेत्  ||

સમસ્ત ચરાચર જગત ચૈતન્ય પરમાત્મા થી જ ઉત્પન્ન થયું છે. અત: સર્વનો પરિત્યાગ કરી ચૈતન્યનો જ આશ્રય લેવો.

[शिवसंहिता – 1.51]


વાસનાઓ ઓછી કરવી

घनवासनमेतत्तु  चेत:कर्तुत्वभावनम्  |

सर्वदु:खप्रदं तस्माद्वासनां तनुतां नयेत्   ||

ચિત્તમાં જ્યારે અનેક વાસનાઓ હોય છે, ત્યારે એ જ ચિત્ત કર્તાની  ભાવના બનીને સર્વ દુ:ખ આપે છે, અત: વાસનાઓને ઓછી કરવી જોઈએ.

[अन्नपूर्णा उपनिषद् – 31]


વિદ્વાન બધે જ વંદનીય

स्वदेशे पूज्यते राजा स्वग्रामे पूज्यते प्रभु:  | 

स्वगृहे पूज्यते मूर्खा: विद्वान् सर्वत्र पूज्यते  || 

રાજાનું માન તેના રાજ્ય સુધી જ હોય છે., ગામના મુખિયાની ઓળખ તેના ગામ સુધી, મૂર્ખ લોકોની વાહવાહ ઘર સુધી પરંતુ વિદ્વાન સર્વત્ર પૂજાય છે.

[सुभाषितम्]


ઉત્કૃષ્ટ ભક્તિ

नारदस्तु तदर्पिताखिलाचारता  |

तद्विस्मरणे परमव्याकुलतेति  ||

બ્રહ્માજીના માનસ પુત્ર અને વિષ્ણુના પરમ ભક્ત નારદના અનુસાર – 
“પરમેશ્વરમાં સર્વ ક્રિયાઓનું અર્પણ અને પરમેશ્વરના વિસ્મરણમાં અતિશય વ્યાકુળતા” – આ જ ઉત્કૃષ્ટ ભક્તિ.

[नारदभक्ति सूत्र – 1.19]


યજ્ઞોપવિત સંસ્કારની સાચી આયુ 

आ षोडशाद्ब्राह्मणस्य सावित्री नातिवर्तते  |

आ द्वाविन्शात्क्षत्रबन्धोराचतुर्विन्शतेर्विश:  ||

16 વર્ષ સુધી બ્રાહ્મણની, 22 વર્ષ સુધી ક્ષત્રિયની અને 24 વર્ષ સુધી વૈશ્યની “સાવિત્રી”નું ઉલ્લંઘન થથી થતું. માટે: એ બાળકોના આ આયુ ના “પહેલા જ” યજ્ઞોપવિત સંસ્કાર થઈ જવા જોઈએ.

[मनुस्मृति – 2.40]


જ્ઞાની ના શત્રુ નહીં, મિત્ર બનો

सुह्रद: पुण्यकृत्यान् दुह्रद: पापकृत्यान् गृह्णन्ति  |

જ્ઞાનીના મિત્ર એના પુણ્ય-કર્મ ગ્રહણ કરે છે જ્યારે શત્રુ એના પાપ કર્મ ગ્રહણ કરે છે.

[प्रबोधसुधाकर, श्रीमद शङ्कराचार्य]


સુસંસ્કારી ભાષા સમાન કોઈ અલંકાર નથી

केयूरा न विभूषयन्ति पुरुषं हारा न चन्द्रोज्ज्वला न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्धजा:  |

वाण्येका समलङ्करोति पुरुषं या संस्कृता धार्यते क्षीयन्ते खलु भूषणानि सततं वाग्भूषणं भूषणम्   ||

બાજૂબંધ પુરુષને સજાવતો નથી. ચંદ્ર સમાન ઉજ્જવળ હાર, સ્નાન, ચંદન લેપ, ફૂલ, સારી રીતે ઓળેલા વાળ, એ પુરુષને શોભાવતા નથી; કિન્તુ સંસ્કારયુક્ત વાણી માત્ર જ પુરુષને શોભા આપે છે. ખરેખર! અન્ય ભૂષણોનો ધીરે ધીરે ક્ષય થાય છે, વાણી જ પરમ ભૂષણ છે.

[सदबोधशतक – 2]


પ્રજાએ પાપ ન કરવા 
अरक्ष्यमाणा: कुर्वन्ति यत्किन्चित्किल्बिषं प्रजा:  |
तस्मात्तु नृपतेरर्धं यस्माद्गृह्णात्यसौ करान्   ||
અરક્ષિત પ્રજા જે કાંઈ પાપ કરતી હોય છે એનું અડધું રાજાનું થઈ જાય છે, કારણ રાજા એમની પાસેથી એમની રક્ષા હેતુ તે ગ્રહણ કરે છે.

[याज्ञवल्क्य स्मृति – आचाराध्याय: 337]


પાપથી અલિપ્ત રહેવાનું સાધન
ब्रह्मण्याधाय कर्माणि सङ्गं त्यक्त्वा करोति य:  |
लिप्यते न स पापेन पद्मपत्रमिवाम्भसा  ||
જે પુરુષ સર્વ કર્મોને પરમાત્મામાં અર્પણ કરીને આસક્તિને ત્યજી કર્મ કરે છે, એ પુરુષ જળથી કમળના પર્ણની જેમ પાપથી લિપ્ત થતો નથી.

[श्रीमद् भगवद्गीता – 5.10]


આર્દ્રા નક્ષત્રમાં નદીસ્નાન વર્જિત
आर्द्रायाः प्रथमे पादे सर्वा नद्यो रजस्वलाः  ।
तासु स्नानं न कुर्वीत वर्ज यित्वा समुद्रगाः  ।।

જ્યારે સૂર્ય આર્દ્રા નક્ષત્રના પ્રથમ ચરણમા પ્રવેશે છે ત્યારે સર્વ પવિત્ર નદીઓ રજસ્વલા થાય છે માટે એમાં એ વેળાએ સ્નાન ન કરવું, સમુદ્રને છોડી બીજે સ્નાન ન કરવું.

[मुहुर्त चिंतामणी]


શ્રેષ્ઠ બ્રાહ્મણને દાન આપો

सममब्राह्मणे दानं द्विगुणं ब्राह्मण ब्रुवे  |

प्राधीते शतसाह्स्त्रमनन्तं वेद्पारगे  ||

જન્મથી બ્રાહ્મણ હોય એને દાન દેવાથી પદાર્થનું બમણું પુણ્ય મળે છે, સુશિક્ષિત બ્રાહ્મણને દાન દેવાથી લાખ ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. પરંતુ જો દાનકર્તા એવા બ્રાહ્મણને દાન કરે જે વેદમાં પારંગત છે એનું તો અનંત ગણું પુણ્ય હોય છે.[मनुस्मृति – 7.85]


પરગુણ-સ્વદોષ દ્રષ્ટિ 

असंख्या: परदोषज्ञा गुणज्ञाश्चैव केचन  |

स्वयं स्वदोष ज्ञातार: पञ्चषा यदि वा न वा  ||

પરદોષ જોનારા જગતમાં અસંખ્ય છે; પરંતુ પરગુણ જોનારા બહુ થોડા. એમાંથી પણ સ્વદોષ જોનારા માત્ર પાંચ કે છ છે અથવા એ પણ નથી.

[द्रष्टान्तशतक]


ત્રિકાળ સંધ્યાનું મહાત્મ્ય  

 निशायां वा दिवा वापि यदज्ञानंकृतं भवेत्  |

 त्रैकालसंध्या करणात्तत्सर्वं विप्रणश्यति  ||

રાત્રિમાં અથવા દિવસે જે કઈં પાપ અજ્ઞાનવશ કરવામાં આવે છે એ સર્વ ત્રિકાળ સંધ્યા કરવાથી નષ્ટ થઈ જાય છે.[याज्ञवल्क्य स्मृति – 3.307]


સુખ દુ:ખ એક સમાન
 

परिणामतापसंस्कारदु:खैर्गुणवृत्तिविरोधाच्च  सर्वमेव दु:खं विवेकिन:  ||

વિવેકીને મન સુખ અને દુ:ખ બંને દુઃખ રૂપ જ છે; સુખ પણ દુ:ખમાં જ પરીણમે છે. સુખ ભોગવતી વખતે ભોજ્ય વસ્તુના નાશની આશંકા, સુખના સંસ્કારથી ઉત્પન્ન થનાર રાગ, અને ગુણવૃત્તિ (સત્વ, રજસ અને તમસની પરસ્પર વિરુધ્ધતા) આ બધાથી દુઃખ જ પ્રાપ્ત થાય છે.

[पातञ्जलयोग सूत्र – 2.15]


ભોજન વખતે મૌન રાખો 
 

ये तु संवत्सरं पूर्णं नित्यं मौनेन भुञ्जते  |

युगकोटिसहस्त्रं तु स्वर्गलोके महीयते  ||

જે વ્યક્તિ એક વર્ષ સુધી મૌન રહીને ચુપચાપ ભોજન કરે છે એ એક કરોડ હજાર વર્ષ સુધી સ્વર્ગમાં આદર સમ્માન પ્રાપ્ત કરે છે.

[चाणक्य नीति – 11.9]


યોગી ની નિર્લેપતા
 

यथा रवि: सर्वरसान्प्रभुङ्क्ते हुताशनश्चापि हि सर्वभक्ष:  |

तथैव योगी विषयानभुङ्क्ते न लिप्यते पुण्यपापैश्च शुध्दः  ||

જેમ સૂર્ય સર્વ રસોને ગ્રહણ કરે છે અને અગ્નિ સર્વ ખાય છે એમ યોગી વિષયોને ભોગતો હોવા છતાં શુદ્ધ હોવાને કારણે પુણ્ય-પાપથી લેપાતો નથી.

[अवधूत उपनिषद – 6]


બ્રહ્મને જાણનાર એ બ્રાહ્મણ
 

जन्मना जायते शुद्र: संस्काराद् द्विज उच्यते  |

वेदपाठाद्भवेद् विप्र: ब्रह्म जानाति ब्राह्मण:  ||

જન્મથી પ્રત્યેક મનુષ્ય શુદ્ર હોય છે, સંસ્કારથી એ દ્વિજ થાય છે, વેદોના અભ્યાસથી એ વિપ્ર બને છે અને જે બ્રહ્મને જાણી લે છે, એ બ્રાહ્મણ બની જાય છે.

[अत्रि स्मृति – 141]


ખરી વિદ્યા અને ખરા કર્મ
 

तत्कर्म यन्न बन्धाय 

सा विद्या या विमुक्तये  |

કર્મ એ છે જે બંધન માટે ન હોય અને વિદ્યા એ છે જે બંધનમાં થી મુક્ત કરી દે. 

[वेदवाङ्ग्मय – ज्ञानकाण्ड]


વેદાભ્યાસીનું યોગક્ષેમ સ્વયં વેદ ઉપાડે છે.
 

पावमानीर्यो अध्येत्र्युषिभि: संभृतं रसम्  |

तस्मै सरस्वती दुहे क्षीरं सर्पिर्मधूदकम्  ||

ઋષિઓ દ્વારા જેનું અધ્યયન થયું તેવા વેદ મંત્રોનો જે પુરુષ સ્વાધ્યાય કરે છે, એને માટે જ્ઞાન-વિજ્ઞાન ને પ્રદાન કરનારી વેદવાણી (મા સરસ્વતી) દુગ્ધ, ઘૃત તથા જલાદી પદાર્થોથી પૂર્ણ કરે છે.  અર્થાત – તેઓનું યોગક્ષેમ વહનનો ભાર સ્વયં વેદ ઉપાડી લે છે.

[सामवेद – 10.7.2]


અધ્યાત્મરામાયણ નો મહિમા.
 

नमस्करोति यॉअध्यात्मरामायणमदूरत: |

सर्वदेवार्चनफलं स प्राप्नोति न संशय: || 

સૃષ્ટિકર્તા બ્રહ્મા ઉવાચ –  જે કોઈ અધ્યાત્મરામાયણ પુસ્તકની પાસે જઈ એને નમસ્કાર કરે છે એ સમસ્ત દેવતાઓની પૂજાનું ફળ પ્રાપ્ત કરે છે – આમાં સંદેહ નથી.

[अध्यात्मरामायण – महात्म्य]


કન્યા માટે વર કેવી રીતે શોધવો.
 

कुलं च शीलं च वपुर्वयश्च विद्यां च वित्तं च सनाथतां च  |

एतान् गुणान्सप्त परीक्ष्य देया कन्या बुधै: शेषमचिन्तनीयम्  ||

આચાર્ય યમ ઉવાચઃ: કુલ, શીલ (ગુણ), શરીર, અવસ્થા (આયુ), વિદ્યા, ધન તથા પરાક્રમ – આ સાત બાબતો ઉપર વિચાર કરીને જ વિદ્વાનોએ પોતાની કન્યાનો વિવાહ કરવો જોઈએ.

[वीरमित्रोदय – संस्कार प्रकाश]


સરળતામાં જ લાભ છે, અને કુટિલતામાં હાનિ.
 

तेषामसौ विरजो ब्रह्मलोको न येषु  |

जिह्नमनृतं न माया चेति  ||

જેમનામાં કુટિલતા લેશ પણ નથી, જેઓ સ્વપ્નમા પણ મિથ્યા ભાષણ નથી કરતા, અને અસત્યમય આચરણથી સદા દૂર રહે છે, જેઓમાં રાગ-દ્વેષાદિ વિકારોનો સર્વથા અભાવ છે, જે સર્વ પ્રકારના છળ-કપટથી શૂન્ય છે, એમને જ એ વિકાર રહિત બ્રહ્મલોક મળે છે. જે આનાથી વિપરીત લક્ષણો વાળા છે, તેઓને નથી મળતું.

[प्रश्नोपनिषद – 1.16]


(ઈશ્વરની) મહિમાના જ્ઞાન નો મહિમા

तद्विहीनं जाराणामिव ||

પરમેશ્વરના મહિમાજ્ઞાન રહિત પ્રેમ બજારુ પ્રેમ સંબંધ જેવો હોય છે.

[नारद भक्ति सूत्र – 1.3.23]


ધર્મ ને અનુરૂપ વચન બોલવા.

अव्याह्रतं व्याह्रताच्छ्रेय आहु: सत्यं वदेव्द्याह्रतं तद् द्वितियतम्  |

प्रियं वदेव्द्याह्रतं ततृतियं धर्मं वदेव्द्याह्रतं तच्चतुर्थम्  ||

બોલવા કરતા મૌન શ્રેષ્ઠ, મૌન કરતા સત્ય બોલવું શ્રેષ્ઠ, એનથી પણ શ્રેષ્ઠ સત્ય અને પ્રિય બોલવું, અને આ સર્વ કરતા ધર્માનુરૂપ બોલવું એ શ્રેષ્ઠ છે.

[विदुरनीति – 4.12]


ઘરની સ્ત્રી સાક્ષાત લક્ષ્મી જ છે.

प्रजनार्थं महाभागा: पूजार्हा: गृह्दिप्तय: |

स्त्रिय: श्रियश्च गेहेषु न विशेषोअस्ति कश्चन ||

સ્ત્રીઓ સંતાનને જન્મ આપે છે, અત: એ શુભ, પૂજનીય, અને ઘરની આભા છે. ઘરમાં સ્ત્રી અને લક્ષ્મી વચ્ચે કોઈ વિશેષ અંતર નથી. 

[मनुस्मृति – 9.26]


સુશીલ સ્ત્રી ના સંસ્કાર.

संयतोपस्करा दक्षा ह्यष्टा व्ययपराङ्गमुखी  |

कुर्याच्छ्वशुर्यो: पादवन्दनं भर्तृतत्परा  ||

સ્ત્રી ઘરના ઉપસ્કર (સામાન)ને સંભાળીને રાખવા વાળી, કુશળ, પ્રસન્નચિત્ત, ખર્ચ ન કરવા વાળી, તથા પતિના વશ-વર્તીની હોય. એ સસરા-સાસુના ચરણ સ્પર્શી પ્રણામ કરે.

[याज्ञवल्क्य स्मृति – आचाराध्याय – 1.83]


આત્મજ્ઞાન એક વાર માટે છે.

क्षिरात्सर्पिर्यथोद्धृत्य क्षिप्तं तस्मिन्न पूर्ववत्  |

बुद्ध्यादेर्ज्ञस्तथाअसत्यान्न देही पूर्ववद्भवेत्  || 

દૂધમાંથી માખણ રૂપી ઘી નીકાળ્યા પછી ફરી દૂધમાં નાખવાથી એ પહેલા જેવું દૂધ નથી બનતું, બસ એવી જ રીતે બુદ્ધિ આદી અસત્ય સમુદાયમાંથી આત્માને (વિવેક દ્વારા) અલગ સમજ્યા પછી સર્વ વ્યવહાર કરવાથી પણ પૂર્વ જેવું દેહાભિમાન થતું નથી.

[उपदेशसाहस्त्री – 17.61]


કુળવાન નીચ કાર્ય નથી કરતા.

वनेअपि  सिंहा न नमन्ति पर्णं बुमुक्षिता नाशनिरीक्षणश्च |

धनैर्विहीना: सुकुलेषु जाता न नीचकर्माणि समाचरन्ति ||

વનમાં રહેતા સિંહ જ્યારે ભૂખ્યા થાય છે તો પણ નાશ હોવાને તૈયાર થઇ ઘાસ અને પર્ણની તરફ નથી ઝુકતા, એવી જ રીતે ધન હીન થવા પર પણ ઉત્તમ કુળમાં જન્મેલા લોકો ધન પ્રાપ્તિ માટે નીચ માર્ગ નથી અપનાવતા.

[गरुडपुराण – नीतिसार – 115.14]


વિદ્યાનું મહાત્મ્ય. 

विद्वान प्रशस्यते लोके विद्वान् गच्छति गौरवम्  |

विद्यया लभते सर्वं विद्या सर्वत्र पूज्यते || 

આ સંસારમાં વિદ્વાનની પ્રસંશા થાય છે. આદર, સમ્માન અને ધન-ધાન્યની પ્રાપ્તિ થાય છે. પ્રત્યેક વસ્તુની પ્રાપ્તિ વિદ્યા દ્વારા થાય છે. વિદ્યા સર્વત્ર પૂજનીય છે.

[चाणक्यनीति – 8.20]


પરમાત્મા વિયોગની કીંમત. 

यदा ह्येवैष एतस्मिन्नु दरमन्तरं कुरुते |

अथ तस्य भयं भवति | तत्तेव भयं विदुषो मन्वानस्य ||

જ્યાં સુધી થોડો પણ પરમાત્માથી વિયોગ છે ત્યાં સુધી જન્મ-મૃત્યુનો ભય રહેતો હોય છે, માત્ર મૂર્ખોને જ નહિ, પરંતુ અભિમાની શાસ્ત્રજ્ઞ વિદ્વાનોને પણ

[तैत्तिरीय उपनिषद – 2.7.4]


 સત્યની જ  જીત થાય છે. 

सत्यमेव जयति नानृतं सत्येन पन्था वितर्ता देवयान: |

येन क्रमनतृषयो ह्याप्तकामा यत्र तत्सत्यस्य परमं निधानम्  ||

સત્યની જ જીત થાય છે, અસત્યની નહિ. એ દેવયાનમાર્ગ સત્યથી જ વ્યાપ્ત છે જેનાથી પૂર્ણકામ ઋષિગણ ગમન કરે છે, જ્યાં એ સત્ય સ્વરૂપ પરમાત્માનું પરમધામ છે.

[मुण्डकोपनिषद – 3.1.6]


શીલ (ગુણ) વાન મનુષ્ય બનો. 

येषां न विधा न तपो न दानं ज्ञानं न शिलं न गुणो न धर्म: |

ते मर्त्यलोके भुदि भारभूता मनुष्यरूपेण मृगाश्चरन्ति ||

જેમની પાસે ન વિદ્યા છે, ન તપ, ન દાન, નહિ જ્ઞાન, ન શીલ (સત-ચરિત્ર), ન ગુણ અને નહિ ધર્મ, એ મૃત્યુલોક (પૃથ્વી) પર ભાર રૂપ મનુષ્યરૂપમાં પશુ જ છે.

[नीतिशतक – 13]


સંસારના વિષયોને ત્યજો 

कामानुसारी पुरुष: कामाननु विनश्यति |

कामान् व्युदस्य धुनुते यत् किञ्चित् पुरुषो ||

વિષયોને અનુસરનાર પુરુષ વિષયોની પાછળ નાશ પામે છે; પણ વિષયોનો ત્યાગ કરનાર પુરુષ પોતાના સમસ્ત પાપોનો નાશ કરે છે.

[सनस्तुजात् उपदेश – 2.13]


માં-બાપની પ્રધાનતા 

 जीवतोरस्वतन्त्र: स्याज्जरयापि समन्वित: |  

तयोरपि पिता श्रेयान् बिजप्राधान्यदर्शनात् ||

માં-બાપ જીવિત છે તો ઘરડા હોવા પર પણ પુત્ર સ્વચ્છંદ થઇ ધનનો સ્વામી નથી બની શકતો.  એ બંને (પિતા – પુત્ર) માં બીજની પ્રધાનતા હોવાને કારણે પિતાની પ્રધાનતા જ માન્ય છે.

[शुक्रनीति – 4.5.288]


 આત્માનો સાક્ષાત્કાર 

एषु सर्वेषु भूतेषु गूढात्मा प्रकाशते

द्रश्यते त्वग्रया बुध्धया सूक्ष्मया सूक्ष्मदार्शभि: ||

સર્વ ભૂત-પ્રાણીઓમાં રહીને પણ છૂપાયેલ આ આત્મા પ્રત્યક્ષ થતો નથી. એ તો માત્ર સૂક્ષ્મ તત્વોને જોનારા પુરુષોથી જ પોતાની તીવ્ર અને સૂક્ષ્મ બુદ્ધિથી જ જોઈ શકાય છે.

[कठोपनिषद – 3.12]


પરમ પદની પ્રાપ્તિ 

विज्ञान सारथिर्यस्तु मन: प्रगहवान्नर: | 

साध्वन: पारमाप्नोति तद्विष्णो: परमं पदम् ||

જે કોઈ માણસ વિવેકશીલ બુદ્ધિરૂપ સારથિથી યુક્ત તથા મનને વશમાં રાખનારો હોય છે, તે સંસારમાર્ગને પાર કરીને તે વિષ્ણુ (વ્યાપક પરમાત્મા) ના પરમ પદને પ્રાપ્ત કરે છે.

[कठोपनिषद – 3.9]


સાંસારિક સુખ દુખ ક્યાં સુધી 

अहङ्कारादि संबन्धो यावदेहेन्द्रियै: सह |

संसारस्तावदेव स्यादात्मनस्त्वविवेकिन: || 

જ્યાં સુધી દેહ અને ઇન્દ્રિઓની સાથે હું અને મારું આદી નો સંબંધ રહેલો છે, ત્યાં સુધી આત્મા અને અનાત્માના વિવેક રહિત જીવનો સુખ-દુ:ખાદીના ભોગ રૂપ સંસાર સાથે સંબંધ રહે છે.

[अध्यात्मरामायण – 3.18]


ભોજનની ચિંતા વ્યર્થ છે.

नाहारं चिन्तयेत् प्राज्ञो धर्ममेकं हि चिन्तयेत् |

आहारो हि मनुष्याणां जन्मना सह जायते ||

બુદ્ધિમાન મનુંષ્યોએ ભોજન પ્રાપ્તિ સંબંધે ચિંતા ન કરવી. એમણે તો માત્ર ધર્મ, કર્મ સંબંધમાં ચિંતન કરવું જોઈએ કારણકે મનુષ્યના જન્મતાની સાથે જ એના ભોજનનો પ્રબંધ થઇ જાય છે.

[चाणक्यनीति – 12.18]


ત્યજ્ય  સંસાર રચ્યા પચ્યા રહેવા માટે નથી 

पश्य: कामाननुयन्ति बालास्ते मृत्योर्यन्ति विततस्य पाशम् |

अथ धीरा अमृत्वं विदित्वा ध्रुवमध्रुवेष्विह   प्रार्थयन्ते ||

મૂર્ખ મનુષ્યો બાહ્ય ભોગોમાં રચ્યા પચ્યા રહી તેમની પાછળ લાગ્યા રહે છે. તેઓ મૃત્યુના સર્વત્ર ફેલાયેલા પાશમાં બંધાય છે – તેમાં પડે છે; પરંતુ વિવેકી પુરુષો અમરત્વને ધ્રુવ (નિશ્ચળ) જાણીને સંસારના અનિત્ય પદાર્થોમાંનો કોઈ પણ પદાર્થ મેળવવાની ઈચ્છા કરતા નથી.

[कठोपनिषद – 2.1] 


ખેડૂત

गणयन्ति ये सूर्यं वृष्टिं शीतं कर्षकाः  

यतन्ते सस्यलाभाय तैः साकं हि वसामि अहम्

 ખેડૂત એ ટાઢ, તડકો કે વૃષ્ટિ ને ગણતરીમાં નથી લેતો અને અન્નનો દાણો ઉગાડવા સતત મંડ્યો રહે છે. એની સાથે હું (ઈશ્વર) જીવું છું.

[सुभाषितम्]


મનુષ્ય એકલો છે 

जन्ममृत्यु हि यात्येको भुनक्त्येक: शुभाशुभम्

नरकेषु पतत्येक एको याति परां गतिम् ||

જેમ મનુષ્ય એકલો જન્મ લે છે, એમ પાપ તથા પુણ્યના ફળ પણ એકલો જ ભોગવે છે. અનેક કષ્ટ અને નરકની યાતનાઓ એકલા જ ભોગવવી પડે છે. મોક્ષ પણ એકલાને જ પ્રાપ્ત થાય છે.

[चाणक्यनीति – 5.13]


મોટો ભાઈ પિતા તુલ્ય 

पितेव पालयेत्पुत्रान्ज्येष्ठो भ्रातृन यवीयस: |

पुत्रवच्चापिवर्तेन ज्येष्ठे भ्रातरि धर्मत: ||

 મોટા ભાઈનું કર્તવ્ય છે કે એ પિતાની જેમ નાના ભાઈઓનું પાલન પોષણ કરે તથા નાના ભાઈઓનું કર્તવ્ય છે કે તેઓ મોટા ભાઈ સાથે પિતા તુલ્ય વ્યવહાર કરે.

[मनुस्मृति – 9.107]


યોગ ની શ્રેષ્ઠતા  

भोगा मेघवित्ता न मध्य विलसत्सौदामिनि चञ्चला आयुर्वायुर्विघट्टिताभ्रपटलीलिनाम्बुवद् भङ्गुरम् |

लोला यौवनलालसा तनुभ्रुतामित्याकलय्य द्रुतं योगे धैर्यसमाधिसिद्धिसुलभे बुद्धिं विदध्वं बुधा: || 

ભોગ – એ મેઘમાં ચમકતી વીજળી સમાન ચંચળ છે, આયુષ્ય – એ વાયુથી વીખરાયેલ વાદળાઓમાં રહેલ પાણીની જેમ ક્ષણભંગુર છે. પ્રાણીઓની યૌવનલાલસા ચંચળ છે. માટે હે બુદ્ધિમાન મનુષ્ય! જલ્દીથી ધૈર્યપૂર્વક સમાધીસીધ્ધથી સુલભ એવા યોગમાં બુદ્ધિ જોડ.

[भर्तृहरिकृत वैराग्यशतक – 52]


તારું કંઇ જ નથી, માટે ત્યાગીને ભોગ 

इशा वास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत् |

त्येन त्यक्तेन भुञ्जीथा मा गृध: कस्य स्विद्धनम् ||

ઈશ્વરથી જ વ્યાપ્ત છે જે કોઈ પદાર્થ આ જગતમાં છે, તેને (અનાસક્ત બની) ત્યાગી ને ભોગ, આકાંક્ષા ન કર કારણકે ધન (પદાર્થ) કોનું છે? (કોઈનું નહિ).

[यजुर्वेद – 40.1 (इशावास्योपनिषद)]


માત્ર ધર્મ જ અચળ છે.

चला लक्ष्मीश्चला प्राणाश्चले जीवितयौवने |

चलाचले च संसारे धर्म एको हि निश्चल: ||

લક્ષ્મી ચલાયમાન, પ્રાણ પણ, જીવન તથા યૌવન પણ ચલાયમાન (અસ્થિર) છે. સંસારમાં એક માત્ર ધર્મ જ નિશ્ચલ છે.

[विज्ञान शतक – 9, परिषिष्ट]


સદા ઈશ્વર સંકલ્પી રહો 

यच्चित्तस्तेनैष प्राणमायाति प्राणस्तेजसा|

युत्त: सहात्मना यथासंकल्पितं लोकं नयति ||

(અંત સમયના) સંકલ્પાનુસાર પ્રાણમાં સ્થિત થઇ, તેજસા (ઉદાન) થી યુક્ત થઇ, મન તથા ઇન્દ્રિયો સહીત જીવ (જે ભાવથી શરીર ત્યાગે છે) એ ભિન્ન ભિન્ન યોનીયોમાં જન્મ લે છે.

[प्रश्नोपनिषद – 3.10]


પુત્રની સાર્થકતા ગયામાં શ્રાદ્ધ કરવામાં 

जीवतो वाक्यकरणात् क्षयाहे भूरिभोजनात् |

गयायां पिण्डदानाच्च त्रिभिर्पुत्रस्य पुत्रता ||

જીવનપર્યંત માતા-પિતાની આજ્ઞાનું પાલન કરીને શ્રાદ્ધમાં ખૂબ ભોજન કરાવીને અને ગયા તીર્થમાં પિતૃઓનું પીંડદાન (ગયામાં પિતૃઓનું શ્રાદ્ધ) કરનાર પુત્રનું પુત્રત્વ સાર્થક છે.

[श्रीमद देवीभागवत् – 6.4.15]


સંપૂર્ણ વૈરાગ્ય કોને કહેવાય? 

ब्रह्मादिस्थावरान्तेषु वैराग्यं विषयेष्वनु |

यथैव काकविष्टायां वैराग्यं तद्धि निर्मलम् ||

કાગડાની વિષ્ટામાં જેવી ઘૃણા થાય એવી બ્રહ્માથી લઇ સ્થાવર પર્યંત વિષયોમાં થાય તો એ ‘નિર્મળ વૈતૃષ્ણ્ય’ કહેવાય છે. (અર્થાત મોક્ષ થઇ જાય છે).

[सर्व वेदान्त सिध्धान्त सार संग्रह् – 113]


ઈશ્વર છે જ.

असन्नेव स भवति | असद्ब्रह्मेति वेद चित | अस्ति ब्रह्मेति चेद्वेद | सन्ततमेनं ततो विदुरिति |

બ્રહ્મ કે ઈશ્વર નથી એવું સમજવા વાળા અસત થઇ જાય છે અર્થાત ભ્રષ્ટ પ્રકૃતિના થઇ જાય છે. સંતપુરુષોનો ઈશ્વરની સત્તામાં પૂર્ણ વિશ્વાસ હોય છે.

[तैत्तिरीयोपनिषद – 6.1]


સંશય રહિત દ્રઢ નિશ્ચયનો મહિમા 

यदा सर्वे प्रभिद्यन्ते ह्रदयस्येह ग्रन्थय:|

अथ मर्त्योअमृतो भवत्येतावद्धयनुशासनम् ||  

જ્યારે સાધકની અહંતા-મમતા રૂપ સમસ્ત અજ્ઞાન ગ્રંથીઓ સારી રીતે ખુલી જાય છે, સર્વ પ્રકારના સંશય સર્વથા નષ્ટ થઇ જાય છે, અને દ્રઢ નિશ્ચય થઇ જાય છે; “પરબ્રહ્મ અવશ્ય છે અને એ નિશ્ચિત મળે જ છે”,  ત્યારે એ અમર થઇ જાય છે. બસ આટલો જ વેદાંતનો સનાતન ઉપદેશ છે.

[कठोपनिषद – 2.3.15]


પાપને ઢાંકવું વ્યર્થ 

धनेनाधर्मलब्धेन यच्छिद्र्मपिधीयते |

असंवृतं तद्भवति ततोअन्यदवदीर्यते  ||

અધર્મથી પ્રાપ્ત ધનથી જો મનુષ્ય પોતાના છિદ્રો (ભૂલ / પાપ) ઢાંકવા જાય છે તો એ છિદ્ર ન ઢંકાઈને ઉલટું બીજા છિદ્રો ઉઘાડા પડી જાય છે.

[विदुरनीति – 3.70]


મનુષ્ય જન્મ છેલ્લો

चरमस्तत्र नृदेहस्तत्रोज्जन्मान्वयोत्पत्ति:|

स्वकुलाचार विचार: श्रुतिप्रचारश्च तत्रापि ||

મનુષ્ય દેહ છેલ્લો; એમાં (પુણ્ય યોગે) ઉત્તમ જન્મ અને વંશમાં ઉત્પત્તિ; અને એમાં પણ (મહાન પુણ્ય હોય તો) કુળનો વિચાર આવે છે અને વેદમાર્ગમાં જવાનો વિચાર આવે છે.

[प्रबोधसुधाकर – 14]


જ્ઞાન શક્તિનો યોગ્ય ઉપયોગ 

येन रूपं रसं गन्धं शब्दान्स्पर्षान्श्च मैथुनान् |

एतेनैव विजानाति किमत्र परिशिष्यते ||

શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ તથા સ્ત્રી સહવાસ આદીથી થનાર સુખોનું મનુષ્યો જે પરમાત્માથી મળેલ જ્ઞાનશક્તિ દ્વારા અનુભવ કરે છે, એ જ શક્તિથી આ પણ જાણી શકે છે કે આમાંથી કઈ વસ્તુ શેષ રહેશે.

[कठोपनिषद – 2.1.3]


મન જ બંધન અને મોક્ષનું કારણ 

मन एव मनुष्याणां कारणं बन्धमोक्षयो:|

बन्धाय विषयासक्तं मुक्त्यै निर्विषयं स्मृतम् ||

મનુષ્યોનું મન એક માત્ર બંધન તથા મોક્ષનું કારણ છે; વિષયાસક્ત મન એ બંધન, અને નિર્વિષય મન એ મોક્ષ છે.

[पञ्च्दर्शी]


બ્રહ્મજ્ઞાન સર્વ સંચિત કર્મોનો નાશ કરે છે.

अहं ब्रह्मेति विज्ञानात्कल्पकोटिशताजितम् |

सञ्चितं विलयं याति प्रबोधात्स्वप्नकर्मवत् || 

નિદ્રામાંથી જાગ્યા પશ્ચાત સ્વપ્નની ક્રિયા જેમ નાશ પામે છે, એવી જ રીતે ‘હું બ્રહ્મ છું’, એવું જ્ઞાન થઇ જવાથી કરોડો કલ્પોના સંચિત કર્મોનો નાશ થાય છે.

[विवेकचूडामणि – 448]


વિદ્યાર્થીઓને સહાયતાનું ફળ 

विवेको जीवितं दीर्घं धर्मकामार्थसम्पद:| 

सर्व तेन भवेद् दत्तं छत्राणां पोषणे कृते ||

વિદ્યાર્થીઓનું પોષણ કરનારને વિવેક (જ્ઞાન), દીર્ઘાયુ, ધર્મ, કામ અને સર્વ સંપત્તિઓનાં દાનનું ફળ મળી જાય છે.

[भविष्यपुराण – 174.19]


ધનોપાર્જન  કરતા ચિત્તશુદ્ધિ મહત્વની 

विवेको जीवितं दीर्घं धर्मकामार्थसम्पद:| 

सर्व तेन भवेद् दत्तं छत्राणां पोषणे कृते ||

ધનની પ્રાપ્તિ થી લોભ, ક્રોધ, દંભ, મદ(નશો) અને મત્સર(અભિમાન) જ વધે છે. એ ધનથી ચિત્ત શુદ્ધ કેવી રીતે થઇ શકે?

[सर्व वेदान्त सिध्धान्त सार संग्रह – 79]


સકામ – નિષ્કામ કર્મ તફાવત 

प्रवृत्तं कर्म संसेव्य देवनामेति साम्यताम् |

निवृत्तं सेवमानस्तु भूतान्यत्येति पञ्च वै ||

મનુષ્ય પ્રવૃત્તિમય (સકામ) કર્મ કરીને દેવલોક પ્રાપ્ત કરે છે અને નિવૃત્તિમય (નિષ્કામ) કર્મ કરીને શરીરને ઉત્પન્ન કરનાર પંચ મહાભૂતોને પાર કરીને મોક્ષ પ્રાપ્ત કરી લે છે.

[मनुस्मृति – 12.90]


વર્તમાન માં રહેવું 

गते शोको न कर्तव्यो भविष्यं नैव चिन्तयेत् |

वर्तमानेन कालेन प्रवर्तन्ते विचक्षणा: ||

વીતી ગયેલ પર શોક અને ભવિષ્યની ચિંતા ન કરવી. બુદ્ધિમાન લોકો વર્તમાન સમયાનુસાર કાર્ય કરતા રહેતા હોય છે.

[चाणक्यनीति – 13.2]


માતા-પિતા એ સંતાનના શત્રુ ક્યારે?

माता शत्रु: पिता वैरी येन बालो न पाठित: |

न शोभते सभामध्ये हंसमध्ये बको यथा ||

એ માતા-પિતા સંતાનના શત્રુ જ છે જેમણે એમને સારી શિક્ષા ન અપાવી. કારણ અશિક્ષિત બાળકનો સદા તિરસ્કાર થાય છે જેવી રીતે હંસના ટોળામાં બગલાનો.

[सुभाषितंम् – 11]


બ્રહ્મ નથી; એમ માનનાર અજ્ઞાની છે.

चतुर्द्रष्टिनिरोधेअभ्रै: सूर्यो नास्तीति मन्यते |

तथा ज्ञानावृतो देहि ब्रह्म नास्तीति मन्यते ||

જેમ વાદળોના ઘેરાવાથી ચારે બાજુ ઉપરની દ્રષ્ટિ રોકાઈ જાય છે અને સૂર્ય નથી એમ માને છે, એવી જ રીતે આજ્ઞાનથી ઘેરાઈ જનાર મનુષ્ય બ્રહ્મ નથી અમ માને છે.

[आत्मप्रबोध उपनिषद – 26]


પરમેશ્વરને દોષ ન આપો.

वैषम्यनैर्घ्रुण्यै न सापेक्षत्वात्तथा हि दर्शयति ||

પરમેશ્વરમાં વિષમતા અને નિર્દયતાનો દોષ નથી આવતો કારણ એ, જીવોના શુભાશુભ કર્મોની આપેક્ષા રાખીને સૃષ્ટિ કરે છે. આવું શ્રુતિ દર્શાવે છે.

[षट्दर्शनम – वेदान्त दर्शनम – 2.1.34]


કંજૂસની સંપત્તિ એને નરકે મોકલે. 

प्रायेणाथा: कदर्याणां न सुखाय कदाचन |

इह चात्मोपतापाय मृतस्य नरकाय च ||

સામાન્યરીતે, કન્જૂસોની સંપત્તિ એમને ક્યારેય કદી કોઈ સુખ નથી આપી શકતી. આ જીવનમાં એ એનું આત્મ-પીડન કરે છે અને એમના મર્યા પછી એમને નરકે મોકલે છે.

[भागवत् – 2.23.15]


યુક્તિ ગ્રહણનો નો વિવેક કેળવો. 

युक्तियुक्तमुपादेयं वचनं बालकादपि |

अन्यत्तृणमिव त्याज्यमप्युत्तं पद्मजन्मना ||

બાળકથી પણ યુક્તિયુક્ત વચન ગ્રહણ કરો. યુક્તિહીન વચન જો બ્રહ્મા કહે તો પણ એનો તૃણ (તણખલા) સમાન જાણી ત્યાગ કરો.

[योगवासिष्ठ]


કષ્ટમાં પણ ધૈર્યવાન રહો. 

कदर्यितस्याअपि हि धैर्यवृत्तेन शक्यते धैर्यगुणा: प्रमार्ष्टुम् |

अधोमुखस्याअपि कृतस्य वह्नेर्नाध: शिखा याति कदाचिदेव || 

ધૈર્યવાન પુરુષ કષ્ટમાં આવી જવાથી પણ એના ધૈર્યના ગુણનો નાશ નથી થતો. અગ્નિને ઉન્ધો નીચેની તરફ રાખવાથી પણ એની જ્વાળા ક્યારેય નીચે નથી જતી, ઉપર જ જાય છે.

[नीतिशतक – 107]


મનુષ્યના શત્રુઓથી સાવધાન. 

एकैकमेते राजेन्द्र मनुष्यं पर्युपासते |

लिप्सामानोंत्तर  तेषां मृगाणामिव लुब्धक: ||

શિકારી મૃગોની આસપાસ (એમને મારવાના આશયથી) અવસર માટે ફરતા રહેતા હોય છે એવી જ રીતે (કામ, ક્રોધ, ઈર્ષ્યા, ઈત્યાદી …) દોષ પ્રત્યેક મનુષ્યની આસપાસ જ ફરતા હોય છે.

[सनत्सुजात उपदेश – 3.17]


અકર્મ ની અપેક્ષા કર્મ કરવું સારું. 

नियतं कुरु कर्म त्वं कर्म ज्यायो ह्यकर्मण: |

शरीरयात्रापि च ते न प्रसिध्ध्येदकर्मण: ||

તું શાસ્ત્રવિહિત કર્તવ્યકર્મ કર; કારણ કર્મ ન કરવાની અપેક્ષા કર્મ કરવું એ શ્રેષ્ઠ છે તથા, કર્મ ન કરવાથી તારો શરીર-નિર્વાહ પણ સિદ્ધ નહિ થાય.

[श्रीमद् भगवद् गीता – 3.8]


સત્યની તાકાત. 

सत्यप्रतिष्ठायां क्रियाफ़लाश्रयत्वम् ||

સત્યની (અંત:કરણમાં) દ્રઢતા આવવાથી યોગીને સ્વયં માટે અને બીજા માટે ક્રિયા કર્યા વગર જ ફળ પ્રાપ્ત કરવાની શક્તિ આવી જાય છે.

[पातञ्जल योग सूत्र – 2.6]


પરિણામ અને બુદ્ધિ એ કર્મને આધીન છે. 

कर्मायत्तं बलं पुन्सां बुद्धि: कर्मानुसारिणी  |

तथापि सुधिया भाव्यं सुविचार्चैव कुर्वता ||

મનુષ્યના ફળ કર્માધીન છે. બુદ્ધિ પણ કર્મને અનુસરનારી છે.  માટે સુજ્ઞ મનુષ્ય સારી રીતે વિચાર કર્યા પશ્ચાત જ કર્મનું આચરણ કરે.

[सदबोधशतक – 92]


જેવું અન્ન તેવી બુદ્ધિ. 

याद्र्श्यं भक्षयेदन्नं बुध्धिर्भवति ताद्रशी  |

दीपो भक्षयते ध्वान्तं कज्जलं प्रसूयते  ||

મનુષ્યની બુદ્ધિ અન્નનું સૂક્ષ્મ તત્વ છે. જેમ દીપક અંધકારને ભક્ષણ કરી કાજળ (મેશ) ઉત્પન્ન કરે છે, તેવી રીતે જેવું અન્ન તેવી બુદ્ધિ.

[द्रष्टान्तशतक]


બ્રાહ્મણોને દુ:ખી ન કરવા. 

उग्रो राजा मन्यमानो ब्राह्मणं यो जिघसति  |

परा तत् सिच्यते राष्ट्रं ब्राह्मणो यत्र जीयते ||

જે દેશમાં રાજા બ્રાહ્મણોને દુ:ખ પહોંચાડે છે, અથવા જે દેશમાં બ્રાહ્મણો દુ:ખી રહે છે, તે દેશનું પતન થઇ જાય છે.

[अथर्ववेद – 5.19.6]


ધનની વૃદ્ધિ કરનાર સાત ગુણો. 

धृति, शमो दम: शौचं, कारुण्यं, वागनिष्ठुरा |

मित्राणां चानभीद्रोह्: सप्तैता: समिध: श्रिय: ||

ધૈર્ય, શાંતિ, ઇન્દ્રિયનિગ્રહ, પવિત્રતા, દયા, કોમલ વાણી અને મિત્ર-દ્રોહનો  ત્યાગ આ સાતેય થી લક્ષ્મી (ધન)ની વૃદ્ધિ થાય છે.

[विदूरनीति – 6.38]


આવો ભારતીય મિત્રો, આપણી આ શ્લોકો રૂપી મોતીઓની ધરોહરને આપણા જીવનની દોરીમાં પરોવી આપણા અત્યારના જીવનને અને પરલોકને ધન્ય બનાવીએ.


5 thoughts on “સંસ્કૃત શ્લોક (180)

કિરીટ સિંહ ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s