માં પ્રકૃતિનું અભેદ્ય પ્રોગ્રામિંગ
દુર્ગ (કારાગૃહ)ની સ્વામીની દુર્ગા(પ્રકૃતિ)નું આ પૂર્વ આયોજિત યંત્ર (Pre-Programmed Machine) છે. એ કારાગૃહમાં સંસારી જીવો એ કેદીઓ છે. જેઓ ઈશ્વર ભક્તિ ચૂક્યા છે તેઓનો આ કર્મ-ફળ ચક્ર એ દંડ છે.
અજ્ઞાનને લીધે જ આપણે સંસારમાં આવીએ છીએ. તમોગુણ વશ સંસારમાં ને સંસારમાં જ રહેવું સહેલું છે પણ તેનાથી ઉપર ઉઠી બહાર આવવા સત્વગુણ ધારણ કરવા રહ્યા. અકર્મ (આળસ) એટલે “અમુક ફળ ન પ્રાપ્ત કરવાની ઈચ્છા”, જે અંતે તો એક પ્રકારની ઈચ્છા જ હોઈ કર્મ-બંધન લાવે છે. વિકર્મ (શાસ્ત્ર વિરુદ્ધ કર્મ જેવાકે ચોરી, હિંસા, વ્યભિચાર, વગેરે…) પણ સંચિત કર્મમાં પરિણમે છે. પોતાનું આવી પડેલ કર્મ (સ્વધર્મ) કુશળતાપૂર્વક કર્યે જવું એ જ એક માત્ર સંસારમાંથી ઉપર ઉઠવાનો માર્ગ છે. અને જો એ કર્મ નીતિથી કર્યું હોય, ની:સ્વાર્થ ભાવે કર્યું હોય, ધર્મ વિરુદ્ધ ન હોય, સત્ય માર્ગી હોય, તો એક પ્રકારની ઈશ્વરની પૂજા જ છે, જે તમને બંધનમાં લાવતી નથી.
અંતે મુક્તિ એ જ (પુરાણ કથિત) વૈકુંઠ ધામ કે જ્યાંથી કોઈ પાછું સંસારમાં ફરીને આવતું નથી.
ચાલો કર્મ-યોગી બનીએ. આપણા સંચિત કર્મો (ઈશ્વર ભક્તિ ઈત્યાદી) સાધન દ્વારા બાળીને ખાખ કરીએ , અકર્મ તથા વિકર્મ ટાળીને નવા કર્મ-બંધનમાં ન પડીએ. માત્ર આવી પડેલ કર્મ (સ્વધર્મ) કુશળતાપૂર્વક નીતિથી, ની:સ્વાર્થ ભાવે કરીએ જે એક પ્રકારની ઈશ્વર ભક્તિ જ છે. આ સંસાર રૂપી કારાગૃહમાંથી મુક્તિ મેળવીએ.