અગ્નિ સંસ્કાર પર્યન્ત અને પશ્ચાત

સંયુક્ત કુટુંબની તો વાત જ અલગ છે. પરંતુ આજના સમયના વ્યસ્ત, એકાકી, વિભક્ત કુટુંબવાળા ઘણાને  (મરણ પછીની વિધિ વિશે)કશી જ ખબર નથી હોતી કે આપ્તજનનું મૃત્યુ થાય એવે વખતે શું કરવું. એક તો આ સમય માટે કોઈ તૈયાર નથી હોતું અને આવે સમયે કોઈની મન:સ્થિતિ ઠેકાણે નથી હોતી માટે જ, લોક હિતાર્થે, કાઠું હૃદય કરીને મેં મારા આપ્તજનોના મૃત્યુ સમયે નોંધેલી બારીકીઓ પ્રકાશિત કરું છું જેથી યથોચ્ચિત અંત્યકર્મ થાય અને લોકોનું મૃત્યુ સુધરી જાય.


શરીર છોડ્યા પછી 
કોઈ પણ એમ્બ્યુલન્સ મૃતકને હોસ્પિટલ કે ક્લિનિક લઇ નહિ જાય.
પ્રાઇવેટ ગાડી માં મૃતક દેહ લઇ જવો ઉચિત કે કાયદાકીય નથી.
લઇ જાવ તો પણ કોઈ હોસ્પિટલ કે ક્લિનિક મૃત દેહને નહિ લે ઘેર પાછું આવું પડશે.
ઘેર ડોકટર ને બોલાવો જ પડશે જે તપાસી ને ડેથ સર્ટિફિકેટ માટે નો લેટર આપશે.

ડોક્ટર અને ડેથ સર્ટિફિકેટ 
સમય નોંધી લો.
ડૉક્ટર ને બોલાવો.
જેવી ખબર પડે (ડોકટર કહે કે હવે નથી રહયા), તરત જ મૃતકની આંખ બંધ કરી દો  (પછી નહિ થાય).
એ જ વખતે ડોક્ટર જોડે ડેથ લેટર બનાવડાવો.
તેમાં મૃતકનું નામ “રેશન કાર્ડ” પ્રમાણે જ લખાવો.
ઉંમર સાચી કહો.
ઓછા માં ઓછી 10 ફોટો કોપી બનાવી લો (ઘણી જગ્યાએ આપવી પડશે).
એક કોપી સ્મશાનેઆપવી પડશે.

સૂતક લાગે 
જન્મ થાય તો વર્ધી લાગે અને મૃત્યુ થાય તો સૂતક લાગે, કહેવાય છે કે વર્ધીના હર્ષમાં અને સૂતકના શોકમાં વ્યક્તિ પોતાના જીવનનું રોજીંદુ કાર્ય બરાબર નથી કરી શક્તિ.  શાસ્ત્ર પ્રમાણે – બ્રાહ્મણને 10 દિવસ, ક્ષત્રિયને 12 દિવસ, વૈશ્યને 16 દિવસ અને શુદ્રને 30 દિવસનું સૂતક લાગે. શાસ્ત્રોમાં કહેલ બ્રહ્મ જ્ઞાનનો ઉપયૉગ કરી શાસ્ત્ર ભણતો હોવાથી બ્રાહ્મણને સાંસારિક આઘાતોમાંથી બહાર આવતા ઓછો સમય લાગે છે. સૂતકના દિવસોમાં મંદિરમાં નહિ જવાનું, આરતી કે પૂજા કે સંધ્યા ન થાય, ઘંટ નહિ વગાડવાનો. સૂતકના દિવસોમાં કરેલું દાન (લેનાર કે દેનાર બંનેને) ફળતુ નથી. એટલે એક વાર સૂતક છૂટે પછી જ દાન ધર્મ કરવા.

જીવાત્મા 

કહેછે કે શરીર છૂટી ગયા પછી જીવ ફરી એ શરીરમાં પ્રેત રૂપે વારંવાર ઘુસવાનો પ્રયત્ન કરે છે. વાયુ રૂપે પ્રેત બનીને 10 દિવસ પોતાના ઘરમાં રહે છે. 11મુ, 12મુ અને 13મા ની વિધિ પછી તે તેમની પિતૃ તરીકેની યાત્રા પ્રારંભ કરે છે. મૃત શરીર પાસે રોકકકળ કરવાથી જીવને દુ:ખ થાય છે અને જેટલા અશ્રુ અને લિન્ટ વહેવડાવ્યા એટલા જીવે પીવા પડે છે.

જાણ કરો, નિર્ણય લો, કામ વહેંચી લો
નજીકના સગા સંબંધીઓને જણાવો
અપસવ્ય (ઉત્તર તંત્ર કરી જાણનાર) પંડિતને બુક કરી દો
પંચાંગ જુઓ, તિથિ નોંધી લો, પંચક આવે છે કે નહિ તે ખાતરી કરી લો.
અર્થીનો સમાન લાવવા કોઈને રવાના કરો
નજીકના સ્મશાન ગૃહમાં જાણ કરો જેથી તેઓ ચિતાની તૈયારી કરે
અગ્નિસંસ્કાર કોણ કરશે તે નક્કી કરી લો.
અસ્થિ વિસર્જન ક્યાં કરશો તે નક્કી કરી લો.

છાપામાં અશુભ સમાચાર કોણ આપી આવશે તે નકકી કરો.

બેસણાનો ફોટો કોણ તૈયાર કરી લેશે તે નક્કી કરો.
લાઈફ ઈન્સ્યુરન્સ પોલિસી છે કે નહિ તે તપાસી લો, તેના નોમિની કોણ છે તે જાણી લો, એજન્ટ ને જાણ કરો.

મૃતક ના વસ્ત્રો 
મૃતક હજુ સુધી ને સ્પર્શ ન કર્યો હોય એવી વ્યક્તિ મૃતક માટે તેમના વસ્ત્રો કબાટમાંથી કાઢીને રાખે. મૃતક જો સૌભાગ્યવતી હોય તો એમને સૌભાગ્યનો શણગાર કરવો પડે, નહીતો સાદા વસ્ત્રો અને ચંદનનો ચાંલ્લો થાય.

ચોકો તૈયાર કરવો 
આ કરતા પહેલા દર્ભને (પવિત્ર હોવાને લીધે) પોતાની કેદમાં ખોસી રાખો
તરત ચોકો બનાવો જેમાં ગાયનું છાણ + ગો મૂત્ર + ગંગા જળ મેળવી ઘરની વહુ જમીન ઉપર લમ્બચોરસ આકારે બધે ચોપડે
ચોપડ્યા પછી તેના ઉપર થોડા કાળા તલ વેરી દે, તેનાથી નકારાત્મક ઉર્જા ચોકામાં પ્રવેશશે નહિ.
પાર્થિવ શરીરની આંખ બંધ કરો, નાક અને કાનમાં “રૂ” ના પૂમડાં ભરાવો જેથી માખી મચ્છર વાસથી ઘૂસે નહિ
શરીરને હળવેથી ઉંચકી ઉત્તર દિશા તરફ માથું રહે તેમ મુકો
ગરમ પાણી તૈયાર કરો
કપડું ભીનું કરી (મૃતક જો સ્ત્રી હોય તો માત્ર સ્ત્રી ઓ જ) શરીરને સાફ કરી નવા વસ્ત્રો પહેરાવે
શરીર ઉપરના બધા આભૂષણો તુરંત ઉતારી દો
મુખમાં તુલસી + સોનાનો તાર + ગંગા જળ મૂકી દો અને મુખ ફરી બંધ કરી દો
આ કરવા માં જો વાર લગાડી તો શરીર કઠણ બની જશે અને આ બધું કરવામાં ખૂબ તકલીફ થશે.

દક્ષિણાભિમુખ દીવો 
દક્ષિણ દિશા તરફ મુખ રહે તેમ એક તલના તેલનો દીવો 10 દિવસ સુધી પ્રગટેલો રાખો. પ્રેતનું કલ્યાણ થાય.

ક્યારે કાઢવા
મૃતક જો સ્ત્રી હોય તો ઘરની લક્ષ્મી કહેવાય જેને સૂર્યાસ્ત પછી નહિ કાઢવા, બીજે દિવસે સૂર્યોદય પછી જ કાઢવા.

ઇન્ક્યુબેટર
જો આખી રાત શબ રાખવું પડે તો પછી “ઇન્ક્યુબેટર” વાળાને બોલાવી લો.
“ઇન્ક્યુબેટર” માં 15 એમ્પીયરનું ફ્રિજનું જેવું મોટું પ્લગ હોય છે.
સવાર સુધી ચાલુ રાખવું અને શરીર કાઢવાના માત્ર અડધો કલ્લાક પહેલા “ઇન્ક્યુબેટર” બંધ કરો
મૃતકને 24 કલ્લાકની અંદર દાહ દઈ દેવો નહિ તો મૃત્યુ બગડે
મૃતકને અગ્નિ દાહ માટે હંમેશા સૂર્યોદય પછી જ કાઢવા

ભગવાન સ્મરણ કરતા રહો 
બાકીના લોકો જેનું આપ્તજન ગયું તેને સાંત્વન આપે
ગીતાનો 12મો અને 15 મોં અધ્યાય મૉટે અવાજે અર્થ સાથે વાંચે (ગીતા માહાત્મ્ય અવશ્ય વાંચવું)
ઈશાવાસ્ય ઉપનિષદ વાંચે
વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે
જેને કઈ ન આવડે એ “ૐ નમો ભગવતે વાસુદેવાય” નું રટણ કરે

છ પિંડ 
પિંડ ઘઉના લોટના પણ બને અને કોરા ચોખા (મોયા વગરના)ના લોટના પણ બને. કોરા ચોખા કોઈ રાખતું નથી અને ચોખાનો લોટ લોકો બહુ ઓછો વાપરતા હોય છે માટે સગવડ માટે લોકો ઘઉંનો લોટના પિંડ બનાવે છે પરંતુ એક વાત યાદ રાખો કે અગ્નિસંસ્કાર માટે જે પદાર્થ પિંડ બનાવવા વાપર્યો હોય તે જ પદાર્થ આખી ઉત્તર ક્રિયા (છેક તીર્થ શ્રાદ્ધ સુધી) વાપરવો પડે છે.  માટે ચોખાના લોટના પિંડ બનાવો. ચોખાનો લોટ ન હોય તો કોરા ચોખાને રાંધીને ભાત બનાવો અને તેના પિંડ બનાવો.
પા કિલો રાંધેલો ભાત (અથવા ચોખાનો લોટ અથવા ઘઉનો લોટ) + કાળા અને સફેદ તલ + પાણી + થોડું ઘી = કાઠો લોટ તૈયાર થાય તેમાંથી મોટા છ પિંડ તૈયાર કરવા.
1. શવનિમિત્તક (શવની પાસે)
2. પાન્થનિમિત્તક (ઘરની બહાર નીકળવાના દરવાજા પાસે)
3. ખેચરનિમિત્તક (બહાર ચાર રસ્તે મૂકીને લઇ લેવા માટે)
4. ભૂતનિમિત્તક (સ્મશાનના બારણે)
5. સાધકનિમિત્તક (ચિતા પાસે)
6. અસ્થિસંચયનનિમિત્તક (ચિતામાં)
પિંડ મૂકી નથી દેવાના, મૂકીને પૂજન કરીને પાછા લઇ લેવાના છે જે છેલ્લે ચિતામાં પધરાવે.
આમ તો પહેલા 2 પિંડ દરિયામાં પધરાવાના હોય છે અને બાકીના 4 ચિતામાં પણ આજકાલ બધા જ પિંડ ચિતામાં પધરાવે છે.

પંચક
1. ઘનિષ્ઠા નક્ષત્ર માં પંચક બેસે
2. શતભિષા
3. પૂર્વાભાદ્રપદા
4. ઉત્તરાભાદ્રપદા
5. રેવતી નક્ષત્રમાં પંચક મુક્ત થાય
આ પાંચ નક્ષત્ર દરમ્યાન જો મૃત્યુ થાય તો પંચકનું મરણ કહેવાય.
પંચકમાં વસ્તુ પાંચ વાર થાય એવી માન્યતા છે. એટલે અશુભ કર્મો પંચકમાં ન કરવા અને જો ન છૂટકે કરવા પડે તો તેના પ્રાયશ્ચિત અથવા શાંતિ કર્મ સામે કરી લેવા.
પંચકમાં મૃત્યુ થવાથી સૌપ્રથમ પુરોહિત / પંડિત / ભૂદેવને આ બાબત જણાવી દો જેથી તે અગ્નિ સંસ્કાર વખતે પંચવિધ શાંતિ કર્મનો સંકલ્પ કરાવે અને 10મા 11મા વખતે તે કર્મ કરાવે.
દર્ભ + અડદની દાળના લોટના 5 પૂતળા બનાવો જે મૃત દેહ સાથે ચિતામાં બળશે.
1. લલાટ ઉપર (આંખો ઉપર)
2. ડાબી કેડમાં
3. પગ આગળ
4. ડુંટી પર
5. જમણી કેડમાં

ઠાઠડી / નનામી / અર્થી
ઠાઠડી તથા શબ બાંધવા રસ્સી અને બામ્બૂ,
ઠાઠડી નીચે પાથરવા અને શબ ઉપર ઢાંકવા સફેદ 2 વસ્ત્ર,
ઢાંકણા વાળું માટલું,
ઘણા છુટ્ટા ફૂલ (શ્વેત પુષ્પ વધુ),
મુખ્ય આપ્તજનો મૃતક ઉપર ચઢાવે માટે અડધો ડઝન જેવા હાર,
સ્મશાને અગ્નિ લઇ જવા માટે ગાયના સૂકા 6 છાણા,
માચીસ, કપૂર,
ઘણી બધી દર્ભની ઝૂડીઓ,
મૃતકને શરીરેલેપ કરવા માટે 2 કિલો ઘી,
અસ્થિ ઠારવા અડધો અડધો લીટરની બે દૂધની થેલીઓ,
તિલક કરવા ચંદન,
ધૂપ,
ચિતામાં નાખવા થોડી ચંદનની લાકડીઓ,
અર્થી સાથે બાંધવા માટેની નારાછડીનો દડો,
ઉનનો દોરો,
કાલા તલ 100 ગ્રામ,
સફેદ તલ 100 ગ્રામ,
જવ 100 ગ્રામ,
તુલસીની ઝૂડી,

પા કિલો અડદની દાળનો લોટ (જો પંચક હોય તો પાંચ પૂતળા માટે જોઈશે)


પોક મૂકવી 
ઠાઠડીએ બાંધ્યા પછી, સર્વ લોકોએ દર્શન કર્યા પછી, ફૂલ હાર ચઢાવ્યા પછી ઉપાડતા પહેલા આપ્તજને મૃતકના જમણા કાનમાં (જો પોતે પુત્ર હોય તો) “ઓ મારી માં …!” કરીને મોટી પોક મૂકવી, અગ્નિદાહ દીધા પહેલા પણ આવું જ કરવું. જીવાત્માને સારું લાગે છે.

અર્થી ને કાંધો 
આજ કાલ અર્થીને કાંધો માત્ર ઘેરની બહાર ઉભેલી મૃતક માટેની એમ્બ્યુલન્સ સુધી જ દેવાય છે. પરંતુ શાસ્ત્ર એવું કહે છે કે પુત્ર જ્યારે પિતાને કાંધો આપે છે તેના એક એક પગલામાં પુત્રને વાજપેય યજ્ઞ કર્યા જેટલું પુણ્ય મળે છે. “શ્રી રામ” બોલતા બોલતા અર્થી સાથે આગળ વધવું. અર્થીની આગળ ચાલનાર દુણી પકડીને ચાલે (માટલી કે જેમાં અગ્નિદાહ માટેનો “ક્રવ્યાદ” નામનો અગ્નિ છે).

અગ્નિ દાહ
ચિતાને અગ્નિ આપતા પહેલા ફરી એક વાર આપ્તજને મૃતકના જમણા કાનમાં (જો પોતે પુત્ર હોય તો) “ઓ મારી માં …!” કરીને મોટી પોક મૂકવી, જીવાત્માને સારું લાગે છે. ચિતાને અગ્નિ આપતા પહેલા દુણી નો “ક્રવ્યાદ” અગ્નિનું ભૂદેવ કહે તેમ યથાશક્તિ પૂજન કરો. ગીતાજીનો 15 મોં અધ્યાય વાંચો.

ચિતા ટાઢી કરવી 
શબ સંપૂર્ણ રીતે ભસ્મ થયા પછી, કોરા ઘડામાં પાણી ભરી, કાણો કરી, જમણે ખભે મૂકી, પાણીની ધાર ચિતાની ઉપર પડે એ રીતે પ્રદક્ષિણા કરવી  અને છેલ્લે ચિતાને પીઠ બતાડી ઘડો પાછળ છોડી દેવો. ઘણી જગ્યાએ ઊંધા મોઢે ઘડાને બે પગ વચ્ચેથી પથ્થર મારી ઘડો ફોડે છે.

અસ્થિ વિસર્જન 
થોડી અસ્થિ લઇ કાચા દૂધથી ધોઈ, વિસર્જનાર્થે માટલામાં લઇ લો. આને માટે લોકો ગમે તે કહે પરંતુ નિર્ણય પોતે લેવાનો છે. મૃતકના અસ્થિ 9 દિવસની અંદર વિસર્જિત કરી દેવા જોઈએ. આજના સમયમાં અનુકૂળતા માટે જ્યા સર્વ નદીઓનો સંગમ છે એવું માનીને સમુદ્રમાં પધરાવી દે છે. કહેવાય છે કે ગંગામાં વિસર્જન થવાથી જીવને સ્વર્ગ પ્રાપ્ત થાય છે. જો ગંગાજીમાં વિસર્જિત કરવી હોય તો સ્મશાનમાં સ્ટોરેજમાં મૂકી રાખવી પડશે અને તેની પાવતી લેવી પડે. આવું એટલા માટે કરવાનું કે અસ્થિ ઘરે ન લેવાય અને 9 દિવસની અંદર તમે સ્મશાનેથી જ અસ્થિ લઇ સીધા ગંગાજી તરફ પ્રયાણ કરી શકો.

સ્મશાનમાં આવેલને વિદાય 
થોડા સમય પછી લોકોને મુક્ત કરો.
સ્મશાને આવ્યા એનો (મનોમન) આભાર પ્રકટ કરી અને હવે પ્રણામ કરી એમને મુક્ત કરો.
“ચાલો” કે “ચાલ” બોલવું નહિ, નહીતો ત્યાંના પ્રેતાત્માઓ પાછળ પડે
પાછળ વાળીને જોવું નહિ.
મનમાં “ૐ નમો ભગવતે વાસુદેવાય” નું રટણ કરવું
ડોકટોરે આપેલ ડેથ લેટરની કોપી સ્મશાનમાં આપી, સ્મશાનની પાવતી લઇ લો (મ્યુનિસિપલ કોર્પોરેશનમાં “ડેથ સર્ટિફિકેટ” બનાવવા કામ લાગશે).

સ્મશાનેથી ઘરે પહોંચો ત્યારે 
ઘેર પહોંચો ત્યારે તરત અંદર ન પ્રવેશો
ઘરની બહાર પાણીની બાલદી ભરેલી રખાવો
લોકો હાથ અને પગ  ધોવે, પાણીનો કોગળો કરે, માથા ઉપર પાણી છાંટે
કપડા બધા જ પલાળો
માથું ધોઈને નહાવ અને મનમાં 5 વાર “ૐ હરયે નમ:” બોલીને મૃતકની સદગતિ માટે પ્રાર્થના કરવી
બ્રાહ્મણ સ્મશાનેથી આવ્યા પછી જનોઈ બદલે
અગ્નિ સંસ્કાર કરનાર ફરી મુંડન કરે

ઘડો લાડવો
અગ્નિ સંસ્કારને દિવસે આટલું અવશ્ય કરો. જો ન થયું તો 11મે દિવસે અચૂક કરવું.
માટલીમાં ઘઉંના લોટનો (બાજરીનો નહિ) કુલેરનો લાડુ + થોડું જળ + દક્ષિણા રાખી કોઈ ને કહો કે મહાદેવને મંદિરે મૂકીને આવે.

મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડમાં ઓછા માં ઓછી 10 કોપી ડેથ સર્ટિફિકેટ કોપી વર્ણવવાની અરજી મૂકી દો.


આગળની યોજના બનાવો 

  • મરણ દિવસ / તિથિ કઈ ગણવી?
    • જે સમયે છેલ્લા શ્વાસ લીધા અને છોડયા એ દિવસ મરણ દિવસ ગણવો. તિથિ એ વખતની લેવી.
  • બેસણું / શોક સભા / પ્રાર્થના સભા / સાદડી કયે દિવસે રાખવું?
    • બેસણું મરણ દિનથી ત્રીજે દીવસે હોય. બુધવારે ન રખાય. માટે કાંતો ચોથે.અથવા બહુ બહુ પાંચમે દિવસે રાખી શકાય. સામાન્ય રીતે લોકાનુકુળ સમય સાંજે 5 થી 7 હોય છે.
  • અશુભ સમાચાર કયા કયા સમાચાર પત્રમાં આપવા છે?
    • આ ત્રણ છાપામાં મફત છે. વધુ માં વધુ 50 શબ્દો આપવા. એડ્વર્ટાઇઝ તરીકે નહિ આપવું નહીતો પૈસા લાગશે. ડેથ સર્ટિફિકેટ સાથે લઇ જવું પડશે નહિ તો નહિ ચાલે.
      1. મુંબઈ સમાચાર
      2. ગુજરાત સમાચાર
      3. જન્મભૂમિ
      કમ્યુટ્રી માં આપી શકાય, મોબાઈલ એપ છે. ફોન આવશે, માહિતી આપી દેવી, મફતમાં મેસેજ મુકાઈ જશે.  એક વાર ફાઇનલ ફર્મો તૈયાર થાય તો વોટ્સએપ પણ કરી શકો.
  • કાળોતરીમાં શું લખવું? કોને કોને જણાવવું?
    • આમાં વડીલોને બદલે જે સજ્જન અને વ્યવહારિક કુશળ વ્યક્તિની સલાહ લો.
  • બેસણામાં મૃતકનો કયો ફોટો મુકશો?
    • કરાવા આપી દો. સ્મિત વાળો ફોટો સારો
  • ગીતા વાંચન કરાવવું છે કે ગરુડ પુરાણ વાંચન?
    બીજા જ દિવસથી શરુ કરી 9 દિવસની અંદર થઇ જવો જોઈએ અને સમાપન 13મેં દિવસે થાય. બની શકે તો ગરુડ પુરાણ રાખવું કારણકે- 1. બીજી કોઈ વેળાએ એ વંચાતું નથી. 2. એ દ્વારા લોકોને ઉત્તર ક્રિયાનું થોડું જ્ઞાન મળે 3. નરકની કહેલી યાતનાઓ જાણી લોકોને થોડો વૈરાગ મળે. સામગ્રીમાં – કોરું કંકુ, કોરા ચોખા, ફળ (કેરી / સફરજન), ઘી નો દીવો, પાટલો / બાજોટ, આસન, માચીસ, મૃતકનો ફોટો, સુખડનો હાર, છૂટટા ફૂલ
  • 10, 11, 12, 13 ની વિધિ કરનાર ભૂદેવ બુક કરી દો
  • 10 મેં દિવસે સુંવાળુંહોય.
    • ક્ષૌર ક્રિયા થાય જેમાં પંચકેશ ત્યાગ કરવો
      1. મુંડન (શિખા રાખવી)
      2. દાઢી કેશ
      3. મૂંછ કેશ
      4. બગલ કેશ
      5. ગુપ્તાંગ કેશ

      મુંડન કરવાથી ઋણ મુક્ત થવાય. એ વગર કોઈ વિધિ કરો તો કોઈ અર્થ નથી માટે મુંડન અવશ્ય કરવું.

  • 10મુ અને 11મુ કયે દિવસે અને ક્યાં કરવું છે? સાથે કરવું છે કે અલગ અલગ?
    10 મેં દિવસે 11 મુ ન થાય. અગ્નિ સંસ્કાર કરનાર ફરી મુંડન કરે. 

    જો અગ્નિસંસ્કાર વખતે 6 પિંડ દાન રહી ગયા હોય તો 10માંની વિધિમાં દશગાત્ર પિંડદાન વિધિ ના પહેલા ષટપિંડ દાન અનુકર્ષણ વિધિ કરી લેવી. 4 વસ્તુ એવી છે જે માત્ર દશાહ શ્રાદ્ધ મા જ વપરાય છે. માટે મંગાવી રાખો 

    1 ) રાળનો ધૂપ
    2 ) વીરણનો વાળો
    3 ) ભૃન્ગરાજ પુષ્પ
    4 ) ઉર્ણા વસ્ત્રદશાહ

  • 11 મેં દિવસે 10 અને 11 સાથે કરી શકાય . 
    અગ્નિ સંસ્કાર કરનાર ફરી જનોઈ બદલે. અગ્નિદાહને દિવસે ઘડો લાડવો મહાદેવે મુકવાનું રહી ગયું હોય તો 11મે દિવસે અચૂક મુકાવી દેવો.
  • 12મુ અને 13મુ કયે દિવસે અને ક્યાં કરવું છે? સાથે કરવું છે કે અલગ અલગ?
    • 12 મેં દિવસે 12 અને 13 સાથે કરી શકાય. (પિંડ વ્હેરાય અને સૂતક જાય) 
  • શ્રાદ્ધિનું ભોજન કોણ કોણ કરશે? (પાંચ ઘરના બ્રાહ્મણ જમે) પ્રેત માટે કોણ બેસશે? 12 અને 13 ભેગું હોય તો 12માં નું સવારનું અને 13માંનું રસોઈયો બુક કરી દો. સાંજનું જમણ નક્કી કરો. પ્રેત બ્રાહ્મણ શ્રાદ્ઘીનું ભોજન નવા થાળી વાટકામાં જમી  લે પછી તે ધોઈને તેમને આપી દેવો.
  • 13 મેં દિવસે 12 અને 13 સાથે “” કરી શકાય. 
    • 13મે દિવસે બહેન ભાણિયાઓને શીખ (કવરમાં રૂપિયા) આપવાની હોય. 
    • શૈય્યા દાન પણ 13 મે ને દિવસે હોય.
  • 14 મે દિવસે અગ્નિસંસ્કાર કરનાર ફરી જનોઈ બદલે, અન્ય લોકો આ દિવસે જનોઈ બદલે
દાન શું, કોને અને કેટલું?
    • ગીતા / ગરુડ પુરાણ વાંચનનું દાન (સીધા સાથે પદ + 1 જોડી કપડા ધોતી, ખેસ વગેરે + દક્ષિણા)
    • પંથી દાન (છત્રી + ટોર્ચ + પગરખા + ટોપી + ઝોળી + લાકડી + ટિફિન ડબ્બો + દક્ષિણા) કોઈ બ્રાહ્મણ ને મળે.
    • પદ દાન (પદ = થાળી + વાટકી + લોટો + સીધું + રકમ) દીકરીઓ (મૃતકની તથા મૃતકના ભાઈઓની દીકરીઓ), બહેનો, બહેનોની દીકરીઓ (ભાણીઓ) ને મળે.
    • ગૌદાન (દેઘડું / ઘડો + સાડલો + ચાંદીની નાની ગાય / રકમ + દક્ષિણા) દીકરીને મળે
    • શૈયા દાન (ખાટલો + સાડી + ઓશીકું + રજાઈ + પદ + સ્ત્રી / પુરુષ જોડ કપડા + સૌભાગ્ય શણગાર
      અથવા તો આ બધાને બદલે એક રકમ) માત્ર પરણેલ અથવા સૌભાગ્યવતી હોય તે જ દીકરીને મળે (બે કે વધુ દીકરીઓ હોય તો અડધું અડધું વહેંચવું નહિ). એવું હોય તો 1 દીકરીને ગોદાન અને બીજીને શૈયા દાન આપો. શૈય્યા દાન પંચકને દિવસે ન થાય.
  • માસિયુ (બારે માસનું ચટ શ્રાદ્ધ અને પિંડ દાન એક સાથે) ક્યારે કરવું છે?
  • વરસી ક્યારે વાળવી?
    • ઘરમાં બીજો કોઈ શુભ પ્રસંગ લેવો હોય તો વરશી જલ્દી વાળી શકાય.
  • શોકના વસ્ત્રો / સાલ્લો ક્યારે અને કેવી રીતે બદલવો? 
    • વરસી વાળ્યા બાદ શોકના કપડા બદલી શકાય.
    • સોમવાર, ગુરુવાર અને શુક્રવાર રાખવા. ચૌદસ અને અમાસે ન બદલાય.
    • સારા ચોઘડિયામાં જ થઇ જવું જોઈએ
    • માથું પલાળી સ્નાન કરો
    • સૌભાગ્યવતી પોતાને કપાળે કંકુ ચાંલ્લો કરે
    • ભગવાન આગળ ઘી નો દીવો પ્રગટાવો
    • ગોળ, સાકર કે કંસાર ખાઈ મ્હોં મીઠું કરો
    • લાલ, લીલો કે બહુ ભડક રંગથી શરૂઆત ન કરો કોઈ આછા રંગનો સાડલો / ડ્રેસ પહેરો
  • દર મહિને તિથિને દિવસે 12 મહિના સુધી પિતૃઓ પાછળ કરવાના કાર્યો 
    • રોજ ભગવન નામની 1 માળા કરવી
    • ગીતા પારાયણ કરવા
    • એકાદશી ઇત્યાદિ ઉપવાસ, એકટાણું વગેરે કરવા
    • રોજ દીવો કરવો
    • ભાદરવા શ્રાદ્ધપક્ષમાં કાગવાસ નાખવો 
    • અન્ન દાન – મંદિરમાં કોઈ બ્રાહ્મણને સીધાનું (ચોખા+ દાળ+ ગોળ + ઘી + મસાલા + તુલસી પાન + રૂપિયા 11/- ) દાન આપવું એમ સમજીને કે 12 મહિના સુધી દર મહિને બ્રાહ્મણને જમાડો. 
    • બ્રહ્મ ભોજન  – દર મહિને તિથિને દિવસે કોઈ 1 બ્રાહ્મણને બોલાવી જમાડીને દક્ષિણા આપવી.
    • કુમ્ભ દાન – માટીનો પાણી ભરેલો એક ઘડો જેના ઉપર પરણાયું (ઢાંકણું) જેમાં દક્ષિણા રૂપિયા 11/- અને તુલસી પત્ર આટલું મહાદેવને મંદિરે મૂકી દેવું.
    • દિપ દાન – દિવાળીને દિવસે (આખા વર્ષની એમ કરીને) 365 દીવેટો કરી એક સાથે શંકરને મંદિરે અથવા દરિયા કિનારે જઈ પ્રગટાવિને મુકવા. સાથે બ્રાહ્મણને લઇ જવો. એક ચાંદીની દીવીમાં પણ દીવો કરવો જે બ્રાહ્મણને દાન કરી દેવો.
  • સંવત્સર શ્રાદ્ધ (ચટ શ્રાધ્દ્ધ) ક્યારે કરવો છે? 
    • જીવ ગત થઇ ગયા પછીની વાર્ષિક તિથિને સાંવત્સરિક શ્રાદ્ધ કહેવાય.
    • ઉત્તર ક્રિયાઓ કરવા માટે આ ત્રણ મહિનાઓ ઉત્તમ હોય છે.
      1. ભાદરવો 
      2. ચૈત્ર 
      3. કારતક
  • મહાલય શ્રાધ ક્યારે કરવો છે?
    • સાંવત્સરિક શ્રાદ્ધના પછીના ભાદ્રપદમાં આવનાર તિથિ માં મહાલય શ્રાદ્ધ થાય.
  • તીર્થ શ્રાધ કઈ જગ્યાએ અને ક્યારે કરવો છે?
    • ઘરપરિવારમાં કોઈ ગુજરી ગયું હોય એના ચાલુ વર્ષનો 1 ભાદરવો પછીના બીજા ભાદરવા પછી જ (લગભગ દોઢ વર્ષ પછી) તીર્થ શ્રાદ્ધ થાય. એના પહેલા નહિ, અન્યથા પ્રયત્ન કરવા જશો કિંતુ યોગ નહિ જાગે. પરંતુ તે પહેલા 1 વાર મહાલય શ્રાદ્ધ અવશ્ય કરી દેવું. તે પછી ગમે ત્યારે વર્ષે, બે વર્ષે, પાંચ વર્ષે, 10 વર્ષે તીર્થશ્રાદ્ધ થાય.
    • તીર્થશ્રાદ્ધમાં યથાશક્તિ 5-10 બ્રાહ્મણ તીર્થ શ્રાદ્ધ સ્થાનમાં જમાડવા
    • કુલ મળીને પાંચ સ્થળ છે. 1 અથવા વધુ સ્થળ કરી શકાય. ત્યાંના ગોર મહારાજની દાદાગિરી હોવાથી કોઈ એક મહારાજને માત્ર નામના બુક કરવા, પરંતુ તેઓ આ કર્મકાંડમાં બિલકુલ અધૂરા અને કાચા હોવાને લીધે આપણા પોતાના મહારાજ લઇ જવા આપણું કર્મ કરવા માટે. 

      1. અલાહાબાદ – પ્રયાગ, ત્રિવેણી સંગમ 

      2. બનારસ – ઘાટ ઉપર મણિકર્ણિકા

      3. પુષ્કર (ટૂંટા વાલા ગોર), બ્રહ્માજી મંદિર (રાજસ્થાન)

      4. ગયા જી માં (હાથીવાલા ગુજરાતીના ગોરની ધર્મ શાળા)

      ત્રણ જગ્યાએ – (અ) ક્ષિપ્રા નદી ઉપર (બ) વડ પાસે (ક) વિષ્ણુપાદ મંદિરમાં

      5. બદ્રિકાશ્રમ

    • પિતૃ માટે બિહારમાં આવેલ “ગયા” તીર્થ ઉત્તમ છે. 
    • માતૃગયા માટે સમસ્ત ભારતમાં ગુજરાતમાં આવેલ “સિદ્ધપુર” નામના ગામમાં “બિંદુસરોવર” એ જ એક માત્ર સ્થળ છે).  માતા જીવિત હોય ત્યારે ન કરાય, ગુજરી ગયેલ દાદી માટે પણ નહિ. 
    • ઘણા એવું માને છે કે 1 વાર તીર્થ શ્રાદ્ધ કરી લો એટલે પિતૃઓનો મોક્ષ થઇ જાય અને ત્યાર પછી દર વર્ષે કાગવાસ નાખવાની જરૂર નથી. પરંતુ એ કરો તેમાં પણ કઈ દોષ નથી, માટે અવશ્ય કરવો.

ગીતામાં વિભૂતિ યોગમાં શ્રી કૃષ્ણે કહ્યું છે કે મૃત્યુ પણ હું છું. માટે મિત્રો, મૃત્યુથી ડરો નહિ. જીવ ગત થઇ જાય તો તેના પરિવાર તરફ સહાનુભૂતિ રાખો, મદદે આવો. કોઈ નું જીવન જો ન સુધારી શક્ય હોવ તો મૃત્યુ સુધારવામાં સહાયક થાવ. મૃત્યુ સુધરે તો જીવ સદગતિએ જાય અને એનું પરલોક સુધરે અને તમને આશીર્વાદ મળે જે અસલી ખજાનો છે.