ઈશ્વર સંબંધી પ્રશ્નોત્તરી

કોઈ પણ પ્રકારના આધ્યાત્મિક, વૈદિક, પૌરાણિક, સાંસ્કૃતિક જ્ઞાન કે ભગવાનને લગતા ક્ષુદ્રાતીક્ષુદ્ર પ્રશ્ન, સંશય, શંકા, કુશંકા તથા તેના બુદ્ધિને સમાધાન આપનાર ઉત્તરોની  આ શોભાયમાન હારમાળા સર્વને લાભકર્તા સિદ્ધ થાવ.


ભગવાન છે કે નથી?

ભગવાન છે. જુઓ – “ઈશ્વર છે ની સાબિતીઓ”.


ભગવાન છે તો પછી લોકો ભગવાનમાં / ઈશ્વરમાં નથી માનતા એવું કેમ?
કારણ કે તે દેખાતા નથી.


ભગવાન દેખાતા કેમ નથી?

ઇન્દ્રિયોની પકડમાં ન આવવાને લીધે. (જેવી રીતે અગ્નિને હાથમાં પકડી  શકાતી નથી, દિવ્યતા એ માયિક પદાર્થના પાત્રમાં  ગ્રહણ થતી નથી). હજુ મોટા કાંકરા પથ્થર (સાંસારિક વિષય પદાર્થો) પકડાય પરંતુ ચાળણી(જડ એવી ઇન્દ્રિયો) માં  પાણી (સૂક્ષ્મ દિવ્યતા) કેવી રીતે પકડાય? ઈશ્વર એ ઇન્દ્રિયોનો વિષય જ નથી. માટે (આપણી ઈચ્છા પ્રમાણે ) ઇન્દ્રિયોથી દેખાતા / અનુભવાતા નથી.

FilterExample

તો પછી ઇન્દ્રિયોથી વધુ શક્તિશાળી યંત્રથી પણ કેમ નથી દેખાતા?

યંત્રો ઇન્દ્રિયોથી શક્તિશાળી નથી હોતા. યંત્રો અંગોથી શક્તિશાળી હોય છે. અંગોની સીમાને લીધે ઇન્દ્રિયોની સીમા આવી જાય છે.

અર્થાત ઇન્દ્રિયોથી શક્તિશાળી એવી બુદ્ધિ થી પકડમાં આવે?

નાં, કારણકે બુદ્ધિને પ્રકાશીત કરનાર પ્રકૃતિથી પણ પર છે ભગવાન. શરીરના અંગો જેવાકે હાથમાં કળશ, પુસ્તક ઇત્યાદિ પદાર્થો ગ્રહણ કરી શકાય છે. પગમાં પગરખા અને શીશ ઉપર પાઘડી ધારણ કરી શકાય છે. પરંતુ અમુક વસ્તુઓ અંગોથી પરે છે. જેમ અંગોથી અગ્રાહ્ય પણ ઇંદ્રિયોની પકડમાં આવનાર જેવાકે કે ગરમી/ઠંડી, ધ્વનિ, હવાનો  સ્પર્શ, પ્રકાશ, સ્વાદ ઇત્યાદિનું અસ્તિત્વ છે. તેમ ઇંદ્રિયોની પકડમાં ન આવી શકનાર પરંતુ બુદ્ધિથી ગ્રાહ્ય એવા તર્ક, વિતર્ક, જ્ઞાન, વિજ્ઞાનનું પણ અસ્તિત્વ છે. બસ એવી જ રીતે બુદ્ધિથી પણ પરે, બુદ્ધિથી અગ્રાહ્ય એવી દિવ્યતાનું પણ અસ્તિત્વ છે.

એનો અર્થ એવો થયો કે ભગવાન કદી દેખાશે જ નહી?

એવું નથી. અવશ્ય દેખાશે, પણ એની ઇચ્છાથી; નહિ કે મારી, તમારી કે બીજા કોઈની. એ સૃષ્ટિના પ્રત્યેક તત્વ ઉપર આધિપત્ય ધરાવે છે. માટે જો એ ધારશે (કૃપા કરશે) તો બુદ્ધિ, ઇન્દ્રિયો, આંખ વગેરે સર્વ વસ્તુથી દેખાશે પણ ખરા. સમસ્ત સૃષ્ટિના રચેતા ભગવાન એ સર્વ સત્તાધીશ છે. સત્તા સ્વાભાવિક રીતે સ્વતંત્ર છે. માટે તેને આદેશ ન આપી શકાય, માત્ર વિનંતી જ કરી શકાય. વિનંતી સાંભળવી કે ન સાંભળવી એ સત્તાના હાથમાં છે.

તો પછી ભગવાન દર્શન ક્યારે આપે? 

જ્યારેઆપણી “લાયકાત” આવી જાય ત્યારે. (આપણામાં દિવ્યતા જાગ્રત થવાથી સુપાત્ર  બનીએ છીએ).

દિવ્યતા આવી એ કેવી રીતે ખબર પડે?

દૈવી ગુણો 
1. સહનશીલતા
2. પ્રસન્નતા
3. ધૈર્ય
4. ક્ષમા
5. પવિત્રતા
6. અહિંસા

ઈશ્વર દર્શનની આપણી “લાયકાત” કેમ નથી?

આપણી અંદર રહેલ નિર્બળતાઓ ને લીધે.

નિર્બળતાઓ કેમ છે?

પહેલેથી છે.

તો એને દૂર કરવાનું મન કેમ નથી થતું?

પોતાનામાં થોડી યોગ્યતા, થોડું બળ, થોડી વિશેષતા દેખાવાથી પોતાનામાં રહેલી નિર્બળતાનું દુ:ખ થતું નથી. અને, માટે એ નિર્બળતાને દૂર કરવાની આવશ્યકતાનો અનુભવ થતો નથી.

પોતાની નિર્બળતાને દૂર કરવાની આવશ્યકતાનો અનુભવ ક્યારે થશે?

ભગવાનની સર્વસક્ષમતા અને સર્વજ્ઞતામાં નિશ્ચયાત્મક બુદ્ધિ બને ત્યારે, કાં તો તમારા પહેલાના કરેલા સત્કર્મો જ્યારે (તેના સારા ફળ ભોગવવાને લીધે) ક્ષીણ થવા પામશે ત્યારે.


અમુકનું કહેવું છે કે ભગવાનને આપણે જ આવશ્યકતા માટે બનાવ્યા છે. શું એ સાચું છે?

એને પૂછો કઈ રીતે?

જો કલ્પનાની રીતે કહેતા હોવ, તો ભગવાનની લીલા તમારી કલ્પનાની પરે કેમ છે? ભગવાન કેવી રીતે કાર્ય કરે છે ત્યાં તમારી કાલ્પનિક બુદ્ધિ કેમ નથી ચાલતી? જો તમે મૂર્તિની વાત કરતા હો, તો એ મૂર્તિનો પદાર્થ સુધ્ધા કાઈ આપણે નથી બનાવ્યો, કુદરતે આપ્યો જેમાં આપણે માત્ર આકાર આપ્યો, તો ભગવાનને બનાવવાની વાત જ દૂર રહી. વિના પદાર્થ તમે આકાર કોને આપત? કાર્યમાં કારણના ગુણો ઉતરીને આવતા હોય છે. તો ભગવાનમાં પણ આપણા ગુણ કે દોષો ઉતરીને આવત, પરંતુ એ તો ગુણ કે દોષો થી રહિત છે.  જો આપણે એને બનાવ્યા હોત, તો એને મિટાવી પણ શકત. એને મીટાવાની વાત તો દૂર રહી, એના જેટલી શક્તિઓ પણ આપણી પાસે નથી. ભગવાનને તમે બનાવ્યા એ છોડો, તમને કોણે બનાવ્યા એ વિચાર કરો !  અસલમાં એથી તદ્દન ઉલટુ છે. ભગવાને આપણને બનાવ્યા છે, પ્રકૃતિના માધ્યમ દ્વારા જે ભગવાનની એક પ્રકારની શક્તિ જ છે.   અને રહ્યો પ્રશ્ન આવશ્યક્તાનો, તો ભગવાનની આવશ્યકતા કોને નથી? હંમેશ રહેશે.


તો પછી ભગવાનની આવશ્યકતા ક્યારે જાગૃત થશે? 

હૃદયમાં પ્રેમનો ઉદ્દેશ્ય હોય, સંસારની મમતા-આસક્તિ છૂટે ત્યારે ઈશ્વરની આવશ્યકતા જાગૃત થશે.


જો મનુષ્યમાં માનવતા હોય, વિવેક હોય, પ્રમાણીકતા હોય, નિર્દોષતા હોય, કોઈ વ્યસન ન હોય, બૂરી આદતો ન હોય, સ્વકર્મમાં પ્રવૃત્ત હોય, મહેનતુ હોય અને એવા અનેક સદગુણો સ્વાભાવિક રીતે વિદ્યમાન હોય તો શું એને ભગવાનને પૂજવાની આવશ્યકતા ખરી? કારણકે એથી ઉલટું અપ્રમાણિક અને દુર્જન લોકો, જેમાં માનવતા નથી તેઓ પણ ભગવાન આગળ શીશ ઝુકાવે છે તેનો કોઈ અર્થ નથી, આવું અમુકનું માનવું છે.

એવું કહેનારા લોકો વિતંડાવાદી છે. અને, આજ છે સમજદારીની વિડંબણા. થોડું બળ, થોડી યોગ્યતા અને વિશેષતા શું આવી, મનુષ્યને પોતાની નિર્બળતાઓ દેખાતી જ નથી. એને દૂર કરવાની આવશ્યકતા પણ જણાતી નથી.  ઉપર કહેલ સદગુણો અને વિવેક જો તમારામાં વિદ્યમાન હોય, તો શું તમે ભગવાનને પૂજ્યા વિના રહેવાના હતા? ન પૂજનારાઓ ભલે માનવતા રાખતા હોય પણ તે નર્યા પશુ જ છે. પ્રત્યેક પ્રાણી જંગલી અને હિંસાત્મક નથી પણ શું આપણે એને માનવ કહીએ છીએ? વફાદાર તો કુતરા પણ હોય છે પરંતુ માનવ ત્યારે જ માનવ કહેવાય જ્યારે તે ભગવાનમાં શ્રધ્ધા રાખે છે. આ જ સાચો વિવેક છે.

તમે ચોર હોવ કે દયાળુ, ઉદાર હોવ કે કંજૂસ, માનવતા તમારામાં ઓછી હોય કે વધુ – સૂર્ય સર્વને એક સમાન પ્રકાશ આપે છે અને સૂર્ય પ્રકાશની જરૂર પ્રત્યેક ને છે. ગમે તેટલા દીવા કરો પણ સૂર્યના પ્રકાશનાં જેવો લાભ તો નહિ જ મળે. માટે ભગવાનની જરૂર પ્રત્યેક ને છે. તેને પોતાના ધર્મ પ્રમાણે પૂજવાની આવશ્યકતા નિસ્સંદેહ હંમેશ છે.

મંદિરમાં ભલે સારા કે ખરાબ વ્યક્તિઓ આવીને પ્રણામ કરતા હોય પરંતુ – પ્રશ્ન માત્ર સદાચારી કે વ્યભિચારી હોવા ન હોવાનો જ નથી, અપિતુ પોતાના અસ્તિત્વને ટકાવી રાખવાનો પણ છે. પેઇન્ટિંગની કળાકારી સારી હોય કે ખરાબ હોય તો પણ પોતાના આધાર (કેનવાસ)ને પકડી રાખે છે જેથી એનું અસ્તિત્વ ટકી રહે છે. હવે પાટલા ઉપરની રંગોળી ભલે ઉત્તમોત્તમ ભરેલી હોય પણ તે તેના અસ્તિત્વને ટકાવી રાખવાની બાયંધરી નથી આપતી. પોતાના આધારને પકડતી નથી માટે જયાંસુધી પાટલાને કોઈની ઠેસ વાગી નથી અથવા શક્તિશાળી પવન આવ્યો નથી ત્યાં સુધી જ તેનું અસ્તિત્વ રહેલું છે.
આજ રીતે, તમે ભલે કોઈનું બૂરું ન કરતા હોવ, ખોટા કામો ન કરતા હોવ, પરંતુ જો (સમસ્ત સૃષ્ટિનો આધાર એવા) ભગવાન આગળ નમન કરો એટલા તેમને (તમારી શરમ, અજ્ઞાનતા કે અભિમાન વશ) નથી પકડ્યા તો પ્રકૃતિના થપેડા આજે નહીં તો કાલે તમે જેને તમારું અસ્તિત્વ માની બેઠા છો એનો નાશ અવશ્ય કરશે.
માટે એ વહેમમાં ન રહેવું કે હું સારો છું એટલે ભગવાન આગળ નહીં ઝુંકુ. પરિવર્તન એ જીવનનો નિયમ છે અને ઈશ્વરમા શ્રદ્ધાની પરીક્ષા પ્રકૃતિના થપેડા રૂપે આવી ને જ રહેશે.
સારા કે ખરાબની ચિંતા પછી કરજો, પહેલા મંદિરમાં જઈને નમન કરવાનું ચાલુ કરી દો. રંગોળી જેવા નહીં પણ પેઇન્ટિંગ જેવા બનો. અંત:કારણ શુદ્ધિ તો થઈને જ રહેશે અને આમ પણ ગીતામાં શ્રી કૃષ્ણે ચોખ્ખું કહેલું છે કે – મારે શરણે આવે એના પાપ હું હરી લઉં છું.
ગાડી ચાલે એ પહેલા ચઢી જાવ, પછી અંદર સાચી દિશામાં ચાલી તમારું સાચું ગંતવ્ય (સાચો ડબ્બો) શોધી કાઢજો નહીં તો ગાડી (જીવન) છૂટી જશે.

મનુષ્ય ભલે ખોટા કાર્યો કરતો હોય, પણ જો એ ઈશ્વરને નિયમિત સાચા હૃદયથી પૂજે છે, તો એ દિવસ દૂર નથી કે આ મનુષ્ય પેલા પ્રમાણિક પણ ઈશ્વરને ન પૂજનાર મનુષ્ય થી આગળ વધી જશે.

In short, you never had, you don’t have and you never will have any excuse whatsoever not to worship God.


અમુક લોકો ઈશ્વરમાં માનતા જ નથી. મંદિરોમાં જતા નથી. અને અનાયાસે જો સામે આવી જાય તો પણ ભગવાનની પ્રતિમા સમક્ષ પ્રણામ સુધ્ધા કરતા નથી. આવા લોકોને શું કહેવું? એમને શું સમજવા? 

એવા લોકોનો (ભલે મિત્ર હોય તો પણ) ત્યાગ કરવો. એવા અવિવેકી લોકો તમારા વિવેકને હાની પહોંચાડી શકે છે. એવા લોકોને જોઈ મનમાં ન તો કોઈ પ્રકારનો અસંતોષ લાવવો કે ન આપણી ઈશ્વર પ્રત્યેની શ્રધ્ધા ડગવા દેવી. કારણકે – મનુષ્યને  જ્યાં સુધી પોતાની નિર્બળતાઓ અને ઈશ્વરની મહાનતાનાં પ્રભાવનો વિશ્વાસ થયો નથી ત્યાં સુધી એ ઈશ્વરમાર્ગી થતો નથી. નિર્બળતાનો બળવાનની સાથે, ભૂખ્યાનો અન્નની સાથે, તરસ્યાનો જળની સાથે અને રોગીનો વૈદ્ય સાથે સંબંધ સ્વાભાવિક રીતે સ્વત: થઇ જાય છે.
ભગવાન સર્વજ્ઞ, પરમ સુહ્રદ અને સર્વસક્ષમ છે – આ ભગવાનનો પ્રભાવ છે. એવા લોકોને પોતાનામાં થોડી યોગ્યતા, થોડું બળ, થોડી વિશેષતા દેખાવાથી પોતાનામાં રહેલી નિર્બળતાનું દુ:ખ થતું નથી. અને, માટે એ નિર્બળતાને દૂર કરવાની આવશ્યકતાનો અનુભવ ન થવાથી ભગવાનના પ્રભાવ ઉપર વિશ્વાસ થતો નથી.
પણ પરમ પિતા ઈશ્વરને આધીન આ માતા પ્રકૃતિ જ્યારે જીવ ઉપર પોતાનું આધિપત્ય બતાવી તેને નિર્બળતાનો અનુભવ કરાવે છે ત્યારે ચુપ-ચાપ એ જીવ વગર કોઈના કીધે સીધા રસ્તા ઉપર આવી જાય છે.

માટે એને એના હાલ ઉપર છોડી દો, તેની સંસારિક બુદ્ધિમાં ભેદ કરવાની કોશિશ ન કરો, સાવધાન રહો અને પોતાનો ઈશ્વર પ્રત્યેનો માર્ગ પ્રશસ્ત કરતા રહો.


ઈશ્વરની મહિમા સાચી રીતે ન જાણનારા અમુક અજ્ઞાનીઓનું માનવું એવું છે કે – ભગવાન જો સર્વ સક્ષમ છે, તો એણે દુનિયા આવી ભૂલ ભરેલી કેમ બનાવી જેમાં હિંસા, અસત્ય, ઢોંગ, પ્રપંચ ઇત્યાદિ ત્રુટીઓ રહેલી છે?

આ તો એવી વાત થઈ કે, ગવર્નમેન્ટ એક સાર્વજનિક શૌચાલય અથવા બગીચો બનાવે છે જે શરૂઆત થી સુંદર છે. ત્યાર બાદ જેમ વિદ્યાર્થીને 2 કલ્લાકના પરીક્ષા પત્રમાં કાંઈ પણ લખવાની પૂર્ણ સ્વતંત્રતા આપી છે, એવી રીતે સમસ્ત માનવ જાતિને કલ્પ સુધીની પૂર્ણ સવતંત્રતા છે કે જે કરવું હોય તે કરે. અને અંતે માનવ એ બગીચાને સુંદર રાખી શકતો નથી, પોતાના છીછરી બુદ્ધિ વાળા સ્વાર્થ હેતુ એ બગીચાને કુરૂપતા પ્રદાન કરે છે અને હવે નવા બહારના લોકો (નવો જન્મ લીધેલા લોકો)   આવીને ગવર્નમેન્ટને દોષારોપણ કરે કે આવો કેવો કુરૂપ બગીચો બનાવ્યો છે !!!
 જેમ ઋતુઓ એનું કામ કરશે, તેમ ત્રણ ગુણો પણ તેનું કામ કરશે જ. શાસ્ત્રોમાં માર્ગદર્શન આપવા છતાં, સંતોએ કરીને બતાવેલ છતાં, ધર્મનું પાલન પોતે ન કરે તો એમાં વિકૃતિ તો આવવાની જ છે. તમારા ઘરને રોજ સ્વચ્છ ન રાખો એમાં ઘર બાંધનાર શું કરે? તમે રોજ ન નહાઓ અને રોગિષ્ઠ બનો તો તમને જન્મ આપીને મોટા કરનાર માતા-પિતા શું કરે? તમારા વસ્ત્ર તમે રોજ ન ધુઓ અને વાસ મારે તો એમાં વસ્ત્ર બનાવનાર શું કરે?

બસ, આવી જ રીતે વસ્ત્ર બનાવનારને દોષ દેનાર, માતા-પિતાને દોષ દેનાર અને ઘર બાંધનારને દોષ દેનાર જેવો હાંસી ને પાત્ર બને છે એવી જ રીતે, ભગવાનને દોષ દેનાર પણ હાંસી ને પાત્ર બને છે.


 તો પછી ઈશ્વરે આપણને એવા બનાવ્યા જ કેમ કે આપણે ધર્મનું પાલન ન કરીએ? ત્રુટિ વાળા કેમ બનાવ્યા? ખોટું થવા જ કેમ દીધું અને દેછે?
ફરી એવો જ પ્રશ્ન થયો કે – પરીક્ષા પત્રમાં પણ વિદ્યાર્થીને ત્રુટિ વાળું લખવા જ કેમ દીધું? મનુષ્યનું મન ત્રુટિઓને જ જોવે છે. પછી તો આપણું મન એવું કહેત કે – ભગવાનની આટલી દાદાગીરી ન હોવી જોઈએ, સ્વતંત્રતા પણ આપવી જોઈએ. એને આપણા પર એટલો પણ વિશ્વાસ નથી કે આપણે સારું અને સાચું લખીશું!! આ કાળમાં જ આપણે ભગવાનની ભૂલો કાઢવા બેઠા, તો કોઈ પણ કાળે આપણે ફરી એ કરીશું.
આપણે આપણી વિકૃતિઓ જ દૂર કરી નથી શકતા, તો જગતની વિકૃતિઓ દૂર કરવાની વાત તો – “ભેંસ ભાગોળે ને છાસ છાગોળે” જેવી થઈ.
આ જ તો ભગવાનની માયા છે. આપણી વિકૃતિઓ દૂર થશે કે તુરંત જ સમસ્ત સંસાર સુંદર દેખાવા માંડશે. પીળીયાને (કમળો થયો હોય એને) બધું પીળું જ દેખાય.

કટાક્ષ – ભગવાનની માત્ર એક જ ભૂલ થઈ છે, અને તે એ છે, કે – આપણને ભગવાનના દોષ દેખાય એવા એણે બનાવ્યા. અલબત્ત આત્મોન્નતિના માર્ગે જવું હોય તો “પર-દોષ નહીં પણ સ્વ-દોષ જોવા” માટે – ભગવાનની ભૂલ જોનારાઓ ને હું ધન્યવાદ અને અભિનંદન આપું છું કે તેઓ આત્મોન્નતિના માર્ગે છે કારણકે ભગવાન એ કઈ “પર” (આપણાથી બીજો) નથી.


તો પછી ભગવાન આપણી એ સ્વતંત્રતા પાછી કેમ નથી લઈ લેતો?
આપેલી વસ્તુ પાછી લેનાર દુર્જન હોય છે સજ્જન નહીં. જ્યાં સુધી આપણે સ્વતંત્રતા ઇચ્છીએ છીએ ત્યાં સુધી ભગવાન એને લઈ નહીં લે. જો આપણે આપણી સ્વતંત્રતા એને અર્પિત કરી દઈએ અને શરણાગત થઈએ તો એ એને લઈ લેશે અને આપણને મુક્ત કરીને ભક્ત બનાવી લેશે.

ભગવત્કૃપા તો સર્વ પર એક સમાન છે તો સર્વને લાભ એક સમાન કેમ નથી? 

ભગવાનથી વિમુખ થવાને લીધે. ગંગાની નજીક રહીને પણ એના પ્રવાહમાં ડૂબકી ન લગાવો, તેનું જળ ન પીઓ તો એમાં મા ગંગાની કૃપા સર્વ ઉપર એક સમાન નથી એમ કેમ કહી શકાય? સવારનો સૂર્યનો તડકામાં જે જશે એને આવશ્યક સત્વો મળશે પણ ન જાવ તો સૂર્યની કૃપા સર્વ ઉપર એક સમાન નથી એમ ન જ કહી શકાય.  એવી જ રીતે ભગવાનથી વિમુખતા છોડી એની સન્મુખ થવાથી એની કૃપાનો લાભ પ્રત્યેકને અવશ્ય મળશે.


ધનાદી સાંસારિક પદાર્થોની પ્રાપ્તિ એ ભગવાનની કૃપાથી મળે કે પ્રારબ્ધથી?

 

જડતાની પ્રાપ્તિ તો પતન છે. નાશવાન વસ્તુઓની પ્રાપ્તિમાં ભગવાનની કૃપાને લગાડવી એ ભૂલ છે. કૃપા તો ચિન્મયતાની પ્રાપ્તિમાં જ છે. સાંસારિક અનુકૂળતાની પ્રાપ્તિ અને પ્રતિકૂળતાનો નાશ એ કઈં ભગવાનની કૃપા નથી, એ તો કર્મફળ માત્ર છે. ભગવાનની કૃપા છે – જડતાની વૃત્તિ હટાવી ચિન્મયતામાં જવું, સત્સંગમાં લાગવું. 


મંદિરમાં જઈ ભગવાન પાસે કશુંક માંગવું કે નહીં?

આપણે ભગવાન પાસે કોઈ વસ્તુ માંગીએ તો આપણો સંબંધ એ વસ્તુ સાથે સધાય છે, ભગવાન સાથે નહીં. જ્યા સુધી ભગવાન સાથે સંબંધ નથી થયો ત્યાં સુધી સર્વ લૌકિક જ હોય છે. ભગવાન સાથે સંબંધ થવાથી સર્વ અલૌકિક થઈ જાય છે. અલૌકિકતા અનુભવવા માટે મંદિરોમાં જવું અને ભગવાનના દર્શન કરવા જોઈએ.


શું ભૂતકાળને પણ બદલી શકાય છે?

હા, નિસ્સંદેહ બદલી શકાય છે. અને એની ચાવી છે; “વર્તમાન” !!!

આપણે ઘણી વાર કહેતા હોઈએ છીએ કે – “જો અમુક થયું હોત, તો આજે આમ હોત …”

અર્થાત, ઇચ્છિત ઘટનાની અસરો જો વર્તમાનમાં પેદા કરી દેવામાં આવે, તો ઇચ્છિત ઘટના ભૂત કાળમાં ઘટ્યા બરાબર જ છે. કારણકે આપણને તો તે ઘટનાના માત્ર પરિણામથી જ મતલબ છે. ઘટના – એ કારણ બને છે અને કાર્ય તેના પરિણામ. મનુષ્યને “કારણ-કાર્ય” નું જ્ઞાન હોતું હોય છે પણ એ સીમિત બુદ્ધિ વશ અધૂરું હોય છે.
અમુક ઇચ્છિત ઘટના જો ઘટી હોત, તો પ્રત્યેક પાસામાં શું પરિણામ આવત અને એના લીધે પ્રત્યેક પાસાના પણ પ્રત્યેક પાસામાં આગળ પણ શું પરિણામ આવે એ માત્ર એ જ જાણી શકે છે જે સર્વજ્ઞ હોય. એને માટે “સર્વજ્ઞતા” હોવી જરૂરી છે.
હવે ધારો કે સર્વજ્ઞતા આવી પણ જાય, તો પણ, વર્તમાન બદલવાની શક્તિ પણ મનુષ્યની સીમિત જ છે. એને માટે જોઈએ – “સર્વસક્ષમતા”.
સર્વજ્ઞતા અને સર્વસક્ષમતા હોવી એટલું જ પૂરતું નથી. વર્તમાન બદલવામાં એક ક્ષણનો પણ સમય ન લગાડવો, નહીતો એ દરમ્યાન બીજું કાંઈ પણ ઘટિત થઈ શકે છે જે તમારા કાર્યમાં બાધા રૂપ થઈ શકે. માટે સમયથી પર હોવું પણ અત્યાવશ્યક છે.

ભગવાન; એ સર્વની અંદર હોવાને લીધે સર્વજ્ઞ છે. અને સર્વ તેની અંદર હોવાને લીધે – શૂન્યમાંથી સર્જન કરી જાણનાર હોવાને લીધે સર્વ સક્ષમ પણ છે. (જેવી રીતે આકાશ જેમ સર્વ પદાર્થોની અંદર અણું-પરમાણુઓની વચ્ચે પણ છે અને એ જ આકાશમાં મહાન આકાશગંગાઓના અસંખ્ય સમૂહો વિદ્યમાન છે). સમય એ સૃષ્ટિનો અભિન્ન અંગ છે. ભગવાને સૃષ્ટિ રચી માટે એ સમયથી પર છે. તેને કાઈ પણ કરવા માટે સમયની જરૂર જ નથી. માટે, ભગવાન ભૂતકાળ પણ બદલી શકે છે.

 ચાલો હવે ભૂતકાળને બદલવાની તમારી આવશ્યાક્તાને દૂર કરી દઈએ. 
હવે ધારો કે તમારી અખંડ, નિશ્ચલ, ઊંડી ભક્તીવશ પ્રસન્ન થઇ, તમારી વિનંતી મુજબ ભગવાન તમારો ભૂતકાળ બદલી દે, તો શું (એક જ દ્રષ્ટિકોણથી જોનારા તમે) એના પરિણામનાં પરિણામને (જે કદી કલ્પનામાં પણ ન આવ્યા હોય) સહર્ષ સ્વીકારી લેશો?
ઉત્તર છે – “કદાપી નહિ જ”.
કારણ કે – મનનો સ્વભાવ છે કે “વર્તમાન” ને અસ્વીકારવું.
ભૂતકાળની અસરો આવશે ક્યા? વર્તમાન માં. પણ મનુષ્યનો સ્વભાવ છે કે વર્તમાનને સ્વીકારવું જ નહિ. કા તો ભૂતકાળનો અફસોસ કરવો, કા તો ભવિષ્યની ચિંતામાં ખપી જવું. માટે એ બદલાયેલ વર્તમાન આખરે વર્તમાન જ હોવાને લીધે તમને આજે નહિ તો કાલે સ્વીકાર્ય નહિ જ થાય. આમ અનંત ચક્કર ચાલ્યે જશે.

પણ જો આપણે આપણા હાલના વર્તમાનને સહર્ષ સ્વીકારી લઈએ, તો ભૂતકાળને બદલવાની આવશ્યકતા જ નથી રહેતી.


ભગવાન સર્વત્ર કઈ રીતે છે?
પ્રત્યેક વસ્તુ તેનાથી પરે જે વસ્તુ છે તેનો આધાર લઈ ને પોતાનું અસ્તિત્વ ટકાવે છે. હવે જો આ સંસાર પણ છે, તો પછી તેનાથી પરે અમુક તત્વ છે જેના આધાર પર આ માયિક સંસાર ટકેલો છે.
ઘઉંની ચાળણીમાં જળ ધારણ કરવા જશો તો જળ નીકળી જશે. પણ નદીમાં એ જ ચાળણી ડૂબેલી હશે તો એ જળ તે ચાળણીથી ભલે ગ્રહણ નથી થતું પણ જળની અનુભૂતિ તમારા હાથને અવશ્ય થાય છે.  બસ એવી જ રીતે, જો માયિક પદાર્થથી ગ્રહણ ન કરી શકાતી વસ્તુનું અસ્તિત્વ છે તો તે નદીના જળની જેમ કોઈ એક જગ્યાએ ન હોતા અપિતુ સર્વત્ર હોવું જોઈએ અન્યથા ક્યારનું નીકળી ગયું હોત. અને જો એવું થાત, તો એના લીધે સંસારનો આધાર પણ જતો રહ્યો હોત.

આનાથી ભગવાનની સર્વત્રતા સાબિત થાય છે.

સરળ શબ્દોમાં –
શું સંસારથી પરે કાંઈ છે?
સંસાર ટકેલો છે એ જ સાબિત કરે છે કે એનો કોઈ ને કોઈ આધાર છે.
અને આધાર હંમેશ આધારિત પદાર્થથી પરે હોય છે.
માટે હા, સંસાર થી પરે કાઇંક છે અને તે જ તેનો આધાર પણ છે.
હવે, આ આધાર સાંસારિક પદાર્થથી ગ્રહણ ન થાય એવો સૂક્ષ્મ છે. (એટલે જ પરે છે).
હવે જો ચાળણીમાં થી પાણી વહી જાય તો પાણી જતું રહે
એમ સંસારમાંથી જો આ સૂક્ષ્મ તત્વ જતું રહે તો આધાર પણ જતો રહે
પરંતુ એવું થતું નથી. આવું ત્યારે જ બને જ્યારે ચાળણી પોતે આખા જળમાં ડૂબેલ હોય અને જળ સર્વત્ર હોય.
અને ઉપરથી સાબિત થાય છે કે સંસારનો આધાર સર્વત્ર છે.
જો ધંધાકીય વ્યક્તિ પોતાના ગ્રાહકને ભગવાન કહેતા શરમાતી નથી,
જો નોકરીયાત વ્યક્તિ માટે એનો માલિક એક પ્રકારે ભગવાન સમાન છે
તો પછી સમસ્ત સંસાર જેના ઉપર આધારિત છે, એ તત્વને ભગવાન કહેતા જતા શાની શરમ?

ભગવાન કેવા છે? ન્યાયકારી, પક્ષપાતી, દયાળુ કે પછી ઉદાસીન?

ભગવાન સાંસારિક દ્રષ્ટિથી ‘ન્યાયકારી’ છે. જ્ઞાનની દ્રષ્ટિથી જોઈએ તો ભગવાન ‘ઉદાસીન’ છે. ભક્તની દ્રષ્ટિ થી એ જ ભગવાન ‘દયાળુ’ છે. ભગવાન આ બધું છે અને આ બધાથી રહિત પણ છે; તફાવત આપણી દ્રષ્ટિનો છે. ભગવાન એટલા વિશાળ છે કે એમાં પરસ્પરવિરોધી સર્વ ભાવ રહેલા છે અને આપણે એમને આપણી બુદ્ધિથી સમજી ન શકીએ. પરંતુ આ પૃથ્થકરણ તો એનો થાય જેનો આપણે ત્યાગ કરવામાં સમર્થ હોઈએ અને આપણાથી ભિન્ન હોય. ભગવાનનો ત્યાગ કોઈ ન કરી શકે; તો પછી એ કેવા છે અને કેવા નથી – એવો વિચાર કરવાની શું જરૂર? એ  જેવા પણ છે, આપણા છે.

ભગવાનમાં વિશ્વાસ દ્રઢ કેવી રીતે થાય?

નીચેની ત્રણ બાબતોનો ત્યાગ કરવાથી:
1. વિવેક વિરોધી કર્મ (શાસ્ત્ર નિષિદ્ધ કર્મ)
2. વિવેક વિરોધી સંબંધ (સંસારને પોતાનો માનવો)
3. વિવેક વિરોધી વિશ્વાસ (કામના, લાલચ, મોહ અને લોભ વશ વિશ્વાસ)

ભગવાન સાથે દ્રઢ આપણાપણુ સર્વ દોષોને ખાઈ જાય છે.


ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે મારે શરણે જે છે એનું સંપૂર્ણ યોગક્ષેમ હું ઉપાડી લઉં છું. પરંતુ શરીરનિર્વાહ માટે સંસાર ઉપર નિર્ભર થવું જ પડે છે, તો પછી ભગવાન ઉપર પૂર્ણ નિર્ભરતા કેવી રીતે આવે?

જેમ બાળક રમકડાં રમે છે પણ એની નિર્ભરતા માં ઉપર હોય છે એવી જ રીતે વ્યવહારમાં અન્યની નિર્ભરતા હોવા છતાં પોતાની પૂર્ણ નિર્ભરતા ભગવાન ઉપર જ હોવી જોઈએ. વાસ્તવમાં શરીરનો નિર્વાહ સંસાર પર નિર્ભર રહેવાથી નથી થતો, ઉલ્ટું પ્રારબ્દ્ધ અનુસાર થતો હોય છે.

જો ભગવાન સર્વનું પાલન-પોષણ કરે છે તો પછી મનુષ્ય ભૂખ્યા કેમ મરે છે?

એ એમનું પ્રારબ્ધ છે. ભગવાન એમના માટે અન્નની આવશ્યકતા નથી સમજતા, એવી જ રીતે કે જેમ વૈદ્ય રોગીને અન્ન ગ્રહણ કરવાની ના પડે છે ત્યારે એનો ઉદ્દેશ્ય રોગીને સાજો કરવાનો છે.  આવશ્યક માત્ર ભગવાન છે. ભૂખે મરવું એ પણ એક સાધન છે, જેનાથી પાછલા કર્મોનું પ્રાયશ્ચિત થાય છે.

આપણે માત્ર આપણી દ્રષ્ટિથી જોઈએ છીએ અને એવું લાગે છે કે ભગવાન અયોગ્ય કરી રહ્યો છે પરંતુ ભગવાન આપણે સર્વથી વધુ જાણનાર, વધુ દયાળુ અને વધુ સમર્થ છે.


સ્તોત્ર ઇત્યાદિના અર્થ જાણ્યા વગર જો કરવામાં આવે તો શું તેનું ફળ મળે?

વૃક્ષનું મહાત્મ્ય તથા કેરી, કેળા કે સફરજનના લાભ ઇત્યાદિ જાણ્યા વિના પણ જો તમે વૃક્ષ વાવો તોય તેનું પરિણામ તો સારું જ આવશે એ રીતે કરેલા સ્તોત્ર એ સત્કર્મ છે અને કોઈ પણ સત્કર્મનું ફળ સારું મળે જ. જો અર્થ સહિત કરો તો તેનો વિશેષ લાભ મળે છે.


“કણ કણ માં ભગવાન છે”, અને “કણ કણ ભગવાન જ  છે” આ બે માં શો ફરક છે?

“કણ કણ માં ભગવાન છે” – એ માન્યતા છે.

“કણ કણ ભગવાન જ છે” – આ વાસ્તવિકતા છે.


આધ્યાત્મિકતા શા માટે?

 

“The whole science of spirituality is to become free from the process where you mortgage your happiness to the outside situation.”
.આધ્યાત્મિકતા ન અપનાવવાના 6 મુખ્ય લૌકિક કારણો છે.

જેઓ ભૂખમરોના શિકાર છે, નાની નાની જરૂરતો માટે ખૂબ મહેનત કરવી પડે છે, તેવાને આધ્યાત્મિકતા

1. રોટી, કપડા  કે મકાન જેવી પ્રાથમિક જરૂરીયાતો પૂરી નથી કરી આપતી

જેમની પ્રાથમિક જરૂરિયાતો મળી રહે છે, તેવાને આધ્યાત્મિકતા –

2. ઇન્દ્રિય સુખના પદાર્થો પ્રાપ્ત નથી કરી આપતી

જેમને પ્રાથમિક જરૂરિયાત પૂરી થાય ઉપરાંત ઇન્દ્રિય સુખો ભોગવવા મળે છે, તેવાને આધ્યાત્મિકતા  –

3. ભવિષ્યની સુરક્ષા પ્રદાન નથી કરતી 

જેમને પ્રાથમિક જરૂરિયાત પૂરી થાય, ઇન્દ્રિય સુખો ભોગવવા મળે છે ઉપરાંત જેમનું ભવિષ્ય સુરક્ષિત છે, તેવાને આધ્યાત્મિકતા –

4. કોઈ મહત્વના વ્યક્તિ સાથેનો સંપર્ક નથી બનાવી આપતી 

જેમને પ્રાથમિક જરૂરિયાત પૂરી થાય, ઇન્દ્રિય સુખો ભોગવવા મળે છે, ભવિષ્ય સુરક્ષિત છે ઉપરાંત જેઓ પાસે મહત્વના વ્યક્તિઓના સંપર્કો છે, તેવાને આધ્યાત્મિકતા –

5. જગ વિખ્યાત નથી બનાવતી 

તદુપરાંત

6. આધ્યાત્મિકતા આત્માને પુષ્ટ  બનાવે છે – જે સદાય ખોટું આચરણ કરવાથી અહંકારને ડંખે છે 

આમ જરૂરિયાતો થી માંડી ને ઇચ્છાઓના સમુદ્રો વચ્ચે અને અહંકારી જીવો માટે “આધ્યાત્મિકતા” નું  સ્થાન કશેય નથી.

આ જ કારણસર, લોકો આધ્યાત્મિકતાને અપનાવતા નથી. આમ જેઓ આધ્યાત્મિક નથી તેઓ અહંકારી છે અથવા અસંતુષ્ટ છે અથવા બંન્ને છે એમ દ્રઢ સમજવું.

તો પછી આધ્યાત્મિકતા અપનાવવી શા માટે?
દુર્ભાગ્યવશ તેઓ એ નથી જાણતા કે:

1. ખરું જોતા ઈશ્વર, જે જન્મ્યું છે તેનો યોગક્ષેમ નો ભાર પોતે ઉપાડે છે. કુદરતે પ્રત્યેકને પોતપોતાનું કાર્યક્ષેત્ર આપેલ છે જેમાં સ્વાભાવિક રીતે પ્રવૃત્ત થવાથી ગુજરાન ચાલી જાય છે. તકલીફ ત્યારે આવે છે જ્યારે મનુષ્ય નૈષ્કર્મ્યનું સુખ મેળવવા અકર્મમાં અથવા કામના વશ વિકર્મમાં પ્રવૃત્ત થઇ જાય છે.

2. ઇન્દ્રિય સુખ કાયમી નથી તથા એક ભ્રમ માત્ર છે. આનંદ પદાર્થમાં નથી પોતાનામાં છે જે પેલા બાહ્ય પદાર્થ-પ્રાપ્તિ માટે તમે ગિરવે મૂકી દીધેલો. આધ્યાત્મિકતા તમને તમારો જ આનંદ પાછો આપાવશે જે ગમે તેટલું ઇન્દ્રિય સુખ પણ નહિ આપી શકે.

3. ખરો પ્રશ્ન ભવિષ્યની સુરક્ષાનો નથી પરંતુ તેની ચિંતા માં આજનો વર્તમાન ન ગુમાવવાનો છે. આધ્યાત્મિકતા તમને અમરત્વ આપીને એટલી નિર્ભયતા આપશે જે ગમે તેટલી ભવિષ્યની સુરક્ષા કરશો તો પણ નહિ મળે.

4. મફત કશું જ નથી. એક પ્રતિભાશાળી વ્યક્તિની તાકાતનો સહારો લેશો તો કાલ ઉઠીને તમારે પણ તેને માટે કશુંક જતું કરવું જ પડશે. આધ્યાત્મિકતા તમને એની સાથે સીધી ઓળખાણ કરાવશે જેની ઈચ્છા વગર એક પાંદડું પણ નથી હાલતું. પછી કોઈ મોટા માણસની ઓળખાણની ગરજ નહિ રહે.

5. જે પૃથ્વીનો રાજા છે તેની ઉપરના 6 લોક (ભુવ:લોક, સ્વર્લોક, મહર્લોક, જનલોક, તપલોક, અને સત્યલોક) ના અલૌકિક ઐશ્વર્ય તરફ દ્રષ્ટિ છે માટે ઇચ્છાઓનો અંત નથી પણ શરીરનો અંત નિશ્ચિત છે. આધ્યાત્મિકતા તમને સમસ્ત ઐશ્વર્ય અપાવશે.

6. આત્માની પુષ્ટિ વિરુદ્ધ જવાથી અધોગતિ નિશ્ચિત છે. આજે નહિ તો કાલે આત્માની પુષ્ટિ કરવી જ પડશે એના વગર સંસારમાં પીસાતા રહેવાનું.

આધ્યાત્મીક્તાને જીવનમાં ઓછામાં ઓછી એટલી તો પ્રાથમિકતા આપીએ જ કે જેટલી સાંસારિક પદાર્થોને આપીએ કારણ સંસાર પ્રત્યક્ષ છતાં ક્ષણભંગુર છે અને મૃત્યુ તરફ લઇ જાય છે પણ આધ્યાત્મિકતા અપ્રત્યક્ષ છતાં અક્ષર છે અને અમરત્વ તરફ લઇ જાય છે .

 


તો આવો – બુદ્ધિને સમાધાન વાળી કરી, નિશ્ચયાત્મક બનાવી શાંતિ પ્રાપ્ત કરીએ


સંદર્ભ –  

[પ્રશ્નોત્તરમણિમાળા, સ્વામી રામસુખદાસ]

[અમૃત-બિંદુ શિક્ષાસાહસ્ત્રી, સ્વામી રામસુખદાસ]